ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાઉથ વેસ્ટ ઝોન (અઠવા) વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નં.22માં ડુમસ કેનાલ રોડ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.21.28 કરોડના ખર્ચે સાકારિત રોડ, સ્ટ્રીટલાઈટ, સ્ટ્રોમ લાઈનના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ડુમસ દરિયાકિનારો હરવાફરવા-પ્રવાસન માટેનું લોકપ્રિય સ્થળ છે, ત્યારે રજાઓના દિવસોમાં ડુમસના મુખ્ય રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જેને દૂર કરવા માટે ઓએનજીસી બ્રિજથી સાયલન્ટ ઝોન જંકશન સુધી નવો સુરત-ડુમસ રોડ બનાવવામાં આવ્યો છે. શહેરીજનોને આ એક વધુ માર્ગ મળ્યો છે, જેના માધ્યમથી ટ્રાફિકના અવરોધ વિના સરળતાથી દરિયા કિનારે પહોંચી શકે છે.
રાજ્ય સરકાર દરિયા કિનારાના વિકાસ અને સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવા માટે સતત પ્રયાસશીલ છે એમ જણાવી તેમણે વધુમાં ઉમેર્યું કે, સ્વચ્છ અને સુઘડ ટુરિસ્ટ પ્લેસ સહેલાણીઓને આકર્ષે છે. જેથી ડુમસના સ્થાનિક નાગરિકોએ સ્વચ્છતા જાળવી રાખવા માટે નાગરિક સમિતિની રચના કરવી જોઈએ અને દરિયા કિનારાને સ્વચ્છ રાખવા માટે પોતાનું યોગદાન આપવું જોઈએ. સ્વચ્છ દરિયા કિનારાને કારણે પ્રવાસીઓની સંખ્યા વધશે, જેના કારણે સ્થાનિક લોકોને રોજગારીના અવસર મળી રહેશે.”
ગૃહરાજ્યમંત્રીએ દેશના સૈનિકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, “ભારતના નિર્દોષ નાગરિકોનો જીવ લેનાર આતંકવાદીઓનો ખાત્મો કરવાની કામગીરી દેશની સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા સફળતાપૂર્વક કરી છે. આપણી સેના વિશ્વની શ્રેષ્ઠ સેનાઓમાં સ્થાન ધરાવે છે. ઉપરાંત, આજે ભારતની એર ડિફેન્સ સિસ્ટમની તાકાતનો દુનિયાને પરિચય થયો છે. દુનિયાભરમાં શક્તિશાળી બની છે. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશના ખૂણે ખૂણે તિરંગા યાત્રા યોજી વીર સૈનિકોને અપાઈ રહેલું સન્માન દેશની દેશની એકતા-દેશદાઝનું પ્રતિબિંબ છે.