એલપીજી ગેસ સિલિન્ડર અછતથી ગૃહિણીથી લઇ હોટેલ સંચાલકો પરેશાન છે. ઈઝરાયલ ઇરાન યુદ્ધથી ક્રૂડ ઓઇલ અને ગેસની સપ્લાયમા વિક્ષેપ પડ્યો છે, જેના લીધે ભારતમાં રાંધણગેસ સિલિન્ડરની અછત સર્જાઇ છે. કુકિંગ ગેસ સિલિન્ડરની અછતની ચિંત્તા વચ્ચે સરકાર તરફથી એક રાહતના સમાચાર આવ્યા છે. એલપીજી સિલિન્ડરની બુકિંગ બાદ કેટલા દિવસમાં સિલિન્ડરની ડિલિવરી થશે તેના વિશે સરકારે સ્પષ્ટતા કરી છે.
LPG સિલિન્ડરની બુકિંગ બાદ કેટલા દિવસમાં ડિલિવરી થશે?
એલપીજી સિલિન્ડરની સંગ્રહખોરી રોકવા માટે સરકારે કડક નિર્ણયો લીધા છે. આ કટોકટીની સ્થિતિમાં નાગરિકોને સમયસર કુકિંગ ગેસ સિલિન્ડર સમયસર મળી રહે તેની માટે સરકારે એક મોટી સ્પષ્ટતા કરી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (MoPNG)ના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું છે કે, ગેસ સિલિન્ડરની સપ્લાયમાં કોઇ ઘટાડો નથી. જો કોઇ કસ્ટમર એલપીજી ગેસ સિલિન્ડરનું બુકિંગ કરે છે તો તેને અઢી થી 3 દિવસની અંદર ડિલિવરી થઇ જશે. તેમણે લોકોને અપિલ કરી છે કે, દહેશતમાં સિલિન્ડર બુકિંગ કરીને સંગ્રહખોરી કરવી નહીં.
નોંધનિય છે કે, સામાન્ય દિવસોમાં એલપીજી ગેસ સિલિન્ડર બુકિંગ કરાયાના 1 કે 2 દિવસમાં ડિલિવરી થતી હતી. જો કે હાલ ગેસની અછતથી દેશમાં ગેસ સિલિન્ડરની સપ્લાય પર પ્રતિકુળ અસર થઇ છે.
સચિવ સુજાતા શર્માના મતે એલપીજીના વધતા ખર્ચનો બોજ સરકાર ઉઠાવશે અને પડોશી દેશોની તુલનામાં ભારતમાં રાંધણગેસ સસ્તું છે. તેમણે ઉમેર્યું કે, આ વૈશ્વિક સંકટ વચ્ચે સરકાર દેશના નાગરિકોને ઉર્જાનો પુરતો પૂરવઠો મળી રહે તેવા પ્રયાસો કરી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભારત 40 દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે.
બે LPG સિલિન્ડર બુકિંગ વચ્ચે 21 દિવસનું અંતર
ઈઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે ભારતની ઓઈલ ગેસ માર્કેટિગં કંપનીઓએ રાંધણગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરીના નિયમ બદલ્યા છે. નવા નિયમ મુજબ હવે છેલ્લા કુકિંગ ગેસ સિલિન્ડરન ડિલિવરીના 21 દિવસ પછી જ નવું સિલિન્ડર બુકિંગ થઇ શકશે. અત્યાર સુધી આ સમય મર્યાદા 15 દિવસની હતી. નવા નિયમથી દેશના 13 લાખ ઘરેલું ગેસ સિલિન્ડર વપરાશકારોને અસર થશે. નવા નિયમ ગત શુક્રવારથી લાગુ થઇ ગયા છે. હવે નવું ગેસ સિલિન્ડર મેળવવા માટે વધુ 6 દિવસ રાહ જોવી પડશે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
LPG સિલિન્ડર વગર ભોજન બનાવવાના 5 વિકલ્પ
ઈઝરાયલ ઈરાન યુદ્ધની આગ ભારતના રસોડા સુધી પહોંચી છે. ક્રૂડ ઓઇળ અને ગેસની સપ્લાય ઘટતા ભારતમાં પણ અછત સર્જાઇ છે. સરકારે એલપીજી ગેસ સિલિન્ડરની સપ્લાય પર કડક નિયંત્રણો લાદયા છે. સ્થિતિમાં લોકો ચિંતિત છે કે, જો ગેસ સિલિન્ડર ખાલી થઇ જાય તો ભોજન કેવી રીતે બનાવવું? આ લેખ તમારી સમસ્યા દૂર કરવામાં મદદ કરશે. અહીં ગેસ સિલિન્ડર વગર ભોજન બનાવવાના 5 વિકલ્પ આપ્યા છે.