શાંતિપ્રિય અને પ્રવાસીઓના સ્વર્ગ તરીકે ઓળખાતા થાઈલેન્ડમાં આજે માનવતા શરમાઈ ગઈ છે, કારણ કે દેશમાં એક જ દિવસે બે અલગ-અલગ સ્થળોએ થયેલી ભયાનક ગોળીબારની ઘટનાઓમાં કુલ 34 લોકોના કરુણ મોત થયા છે, જેમાં 22 માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. સૌથી મોટી ઘટના એક ડે-કેર સેન્ટરમાં બની હતી, જ્યાં નોકરીમાંથી કાઢી મૂકાયેલા પૂર્વ પોલીસ કર્મચારીએ બાળકો સૂઈ રહ્યા હતા ત્યારે ગોળીબાર અને ચાકુથી હુમલો કરી 22 બાળકો સહિત 34 લોકોની હત્યા કરી હતી.
મૃતકોમાં 22 જેટલા નાના ફૂલ જેવા માસૂમ બાળકોનો સમાવેશ થાય છે, જે આંકડો સાંભળીને જ કોઈનું પણ કાળજું કંપી ઉઠે. આ ઘટનાને થાઈલેન્ડના ઈતિહાસનો સૌથી ભયાનક અને ‘ઘાતક સામૂહિક ગોળીબાર’ ગણવામાં આવી રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સૌથી મોટી જાનહાનિ એક ડેકેર સેન્ટરમાં થઈ છે. એક બરતરફ કરાયેલા એટલે કે નોકરીમાંથી કાઢી મૂકાયેલા ‘ભૂતપૂર્વ પોલીસ અધિકારી’ એ ડેકેર સેન્ટરમાં ઘૂસીને આડેધડ ગોળીબાર કર્યો હતો અને બાળકો પર ચાકુથી પણ હુમલો કર્યો હતો. આ પાશવી હુમલામાં 22 બાળકો અને 12 પુખ્ત વયના નાગરિકો સહિત કુલ 34 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
હત્યારાએ બપોરના સમયે જ્યારે બાળકો સૂઈ રહ્યા હતા ત્યારે તેમને નિશાન બનાવતા સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાની લહેર પ્રસરી ગઈ છે. આ ઘટના પાછળનો હેતુ શું હતો, તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હુમલાખોર ડ્રગ્સના કેસમાં કોર્ટમાં હાજરી આપીને આવ્યો હતો અને માનસિક રીતે અસ્થિર જણાતો હતો.
આ કરુણાંતિકા ઓછી હતી ત્યાં દક્ષિણ થાઈલેન્ડના ‘હાટ યાઈ’ વિસ્તારમાંથી પણ વધુ એક હુમલાના સમાચાર આવ્યા છે. અહીં એક 18 વર્ષીય યુવકે શાળામાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અહેવાલો મુજબ, હુમલાખોરે શાળાની એક મહિલા કર્મચારીને થોડા સમય માટે ‘બંધક’ બનાવી લીધી હતી, જોકે પોલીસે બાદમાં સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
સ્થાનિક અધિકારીઓએ આ ઘટનાને ‘રાષ્ટ્રીય ત્રાસદી’ ગણાવી છે. સામાન્ય રીતે પ્રવાસીઓ માટે સુરક્ષિત ગણાતા થાઈલેન્ડમાં આ પ્રકારની ‘આતંકવાદ’ જેવી ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નો ઉભા કર્યા છે. થાઈલેન્ડમાં બંદૂક રાખવાના કાયદા કડક હોવા છતાં ગેરકાયદેસર હથિયારોનું પ્રમાણ ચિંતાજનક છે.