મણિપુરના સેનાપતિ જિલ્લામાં ચાંગૌબંગ ગામ પાસે સુરક્ષાબળોનો એક ટ્રક ખીણમાં ખાબક્યો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ BSF જવાનોનું મૃત્યુ થયું જ્યારે 13 અન્ય ઘાયલ થયા. સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે સીમા સુરક્ષા દળના બે જવાનોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો, જ્યારે એક અન્ય જવાનને હોસ્પિટલ લઈ જતી વખતે મૃત્યુ થયું.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે મૃતકોના મૃતદેહો સેનાપતિના જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.તેમણે જણાવ્યુ કે ઘાયલ BSF જવાનોમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. રાજ્યપાલ અજયકુમાર ભલ્લાએ આ દુર્ઘટનામાં થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો છે.
રાજભવન દ્વારા X (ટ્વીટર) પર કરવામાં આવેલી પોસ્ટમાં લખાયું કે, “મણિપુરના રાજ્યપાલ અજયકુમાર ભલ્લાએ સેનાપતિ જિલ્લાના ચાંગૌબંગ ગામમાં થયેલી આ દુઃખદ ઘટના અંગે ગાઢ દુઃખ વ્યક્ત કર્યું છે, જેમાં ત્રણ BSF જવાનોએ પોતાનું જીવન ગુમાવ્યું. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ત્વરિત સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.”