કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં ફસાયેલા સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉ.રાજેન્દ્ર પટેલ સામે મોટી કાર્યવાહી કરાઈ છે. સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાયા છે. EDએ ધરપકડ કરતાં રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. સામાન્ય વહીવટ વિભાગે સસ્પેન્શન ઓર્ડર બહાર પાડ્યો છે.
સુરેન્દ્રનગર પૂર્વ કલેક્ટરે સરકારી બંગલો ખાલી કરાવ્યો છે. પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને તપાસ બાદ ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં પૂર્વ કલેક્ટરના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કલેક્ટરના બંગલે નેમ પ્લેટ બાદ સરકારી બંગલો પણ ખાલી કરવામાં આવ્યો છે. પૂર્વ કલેક્ટરનો સામાન વાહનોમાં ભરી અમદાવાદ ખાતે તેમના ફ્લેટ પર લઈ જવામાં આવ્યો હતો.
એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
કેવો કાંડ કર્યો હતો
સરકારી નીતિ-નિયમોને નેવે મૂકીને કરોડોની કિંમતની જમીનોને પાણીના ભાવે ખેતીમાંથી બિનખેતીમાં ફેરવી દેવામાં આવી હતી. રાજેન્દ્ર પટેલ જ્યારે કલેક્ટર પદે હતા. ત્યારે એક જ દિવસમાં અનેક ફાઈલો પર સહીઓ કરીને તિજોરી ભરી લેવામાં આવી હોવાના પુરાવા પણ ઈડીના હાથમાં લાગ્યા છે. એવી શંકા સેવાઈ રહી છે કે, આ નાના કર્મચારીઓએ પણ ભ્રષ્ટાચારની કમાણીમાંથી અઢળક સંપત્તિ વસાવી છે. તો અન્ય અધિકારીઓના નામ પણ ખૂલે તો નવાઈ નહિ.