Thursday, Oct 23, 2025

બિહારમાં આરા રેલવેસ્ટેશન પર ફાયરિંગ, ત્રણ લોકોનાં મોત

2 Min Read

બિહારના આરા રેલવે સ્ટેશન પર મંગળવારે રાતે ગોળીબારની ઘટના સામે આવતા અફરાતફરી મચી ગઈ. આ ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત થયા છે. પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગોળીબારની આ ઘટના પ્લેટફોર્મ નંબર 2 પર બની. RPFના સિનિયર કમાન્ડન્ટ પ્રકાશ પાંડેના જણાવ્યા મુજબ, 24 વર્ષીય અમન કુમાર નામના યુવકે પ્રેમસંબંધના વિવાદમાં આવીને ગોળીબાર કર્યો.

આ ઘટનામાં યુવકે પહેલા જિયા કુમારી અને તેમના પિતા અનિલ સિંહાની ગોળી મારીને હત્યા કરી અને બાદમાં પોતાને પણ ગોળી મારી લીધી. ઘટનાની જાણ થતા જ રેલવે અને સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી.

RPFના અધિકારીઓએ જણાવ્યું કે, “આરોપી અમન કુમારે પોતાનો જીવ લેતા પહેલાં જિયા અને તેમના પિતાને નિશાન બનાવ્યા હતા. આ હત્યામાં પ્રેમસંબંધના તણાવનો મુદ્દો મુખ્ય હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.”

પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે અને રેલવે સ્ટેશન પર લગાવવામાં આવેલા CCTV ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશને લગભગ 40 CCTV કેમેરા હાજર છે, પરંતુ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ફૂટઓવર બ્રિજ અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોએ પણ નવા કેમેરા લગાવવાની યોજના છે.

પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર કબજે કરી લીધું છે. RPF અને GRP સંયુક્ત રીતે આ મામલાની તપાસ કરી રહી છે. આ હાર્દસૂઝ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી આ હત્યાકાંડની પાછળના સાચા કારણો સામે આવી શકે.

Share This Article