Wednesday, Feb 11, 2026

મણિપુરમાં ફરી ભારેલો અગ્નિ: ઉખરુલમાં હિંસા બાદ કર્ફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઇન્ટરનેટ બંધ

2 Min Read

મણિપુરમાં ફરી એકવાર તણાવ વધ્યો છે. જેમાં ઉખરુલના લિટન સરીખોંગ ગામમાં ઉપદ્રવીઓએ અનેક ઘરોમાં આગ લગાવી દીધી હતી. તેમજ પરિસ્થિતિ વધુ વણસે તે પૂર્વે અધિકારીઓએ સમગ્ર જિલ્લામાં કર્ફ્યુ લાદ્યો છે. આ ઘટનામાં તાંગખુલ નાગા સમુદાયના એક સભ્ય પર હુમલાને લઇને તણાવ વધ્યો છે. આ હાલતને જોતા રાજ્ય સરકારે જિલ્લામાં પાંચ દિવસ ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.

પોલીસના જણાવ્યા અનુસાર લિટન સરીખોંગ વિસ્તારમાં ગોળીબાર અને આગજનીની ઘટના બે તાંગખુલ ​​નાગા સંગઠનો દ્વારા ઉખરુલ અને કામજોંગ જિલ્લામાં કુકી સમુદાયની હિલચાલ પર પ્રતિબંધ લાદવામાં આવ્યાના એક દિવસ પછી બની હતી. જેના પગલે વહીવટીતંત્રે સમગ્ર જિલ્લામાં કર્ફ્યુ લાદ્યો છે.

લિટન સરીખોંગમાં સશસ્ત્ર ઉપદ્રવીઓએ કેટલાક ખાલી મકાનોમાં આગ લગાવી અને ગોળીબાર કર્યો હતો. તેમજ હાલ પરિસ્થિતિ તંગ છે અને સુરક્ષા દળો પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મણિપુર સરકારે સાવચેતીના પગલા તરીકે ઉખરુલ જિલ્લાના મહેસૂલ વિસ્તારમાં બ્રોડબેન્ડ, VPN અને V-Sat ઇન્ટરનેટ સેવાઓ પાંચ દિવસ માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.

છેલ્લા બે દિવસથી ભડકેલી હિંસાના પગલે કુકી અને તાંગખુલ ​​નાગાના સેંકડો ગ્રામજનો લિટન સરીખોંગ અને આસપાસના કુકી-પ્રભુત્વ ધરાવતા ગામોમાંથી સુરક્ષિત સ્થળોએ ભાગી રહ્યા છે. તેમજ ઘણા ગ્રામજનોએ કુકી-પ્રભુત્વ ધરાવતા કાંગપોકપી જિલ્લાના મોટબુંગ અને સૈકુલના કેટલાક ભાગોમાં આશરો લીધો છે. જોકે, ઘર છોડીને ભાગી રહેલા લોકો વિસ્તારમાં ગોળીબાર રોકવામાં સુરક્ષા દળોની નિષ્ફળતા બદલ ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

મણિપુરના મંત્રી ગોવિંદદાસ કોન્થોઉજમે સોમવારે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 21 ઘરો સળગાવી દેવામાં આવ્યા છે અને પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

Share This Article