પ્રયાગરાજમાં મહાકુંભ ત્રિવેણી સંગમમાંથી પરત ફરતા પરિવારને અકસ્માત નડતાં 6 લોકોના દર્દનાક મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ બિહારના આરામાં આ માર્ગ અકસ્માતની ઘટના બની છે. વાસ્તવમાં શુક્રવારે સવારે આરા-મોહનિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક પેટ્રોલ પંપ પાસે બની હતી. અહીં કાર પાછળથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે, કારના ટુકડા થઈ ગયા. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ 6 લોકોના મોત થયા હતા.
અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસે તમામ મૃતકોને બહાર કાઢ્યા. મોતને ભેટેલાં તમામ લોકો એક જ પરિવારના હતાં. પરિવાર પટણાના જક્કનપુરનો રહેવાસી હતો અને પ્રયાગરાજ કુંભમાં સ્નાન કરીને પરત ફરી રહ્યો હતો. મૃતકોના પરિવારજનોએ જણાવ્યું કે, તમામ લોકો ગુરૂવારે (20 ફેબ્રુઆરી) મહાકુંભ સ્નાન માટે પ્રયાગરાજ ગયા હતાં. શુક્રવારે (21 ફેબ્રુઆરી) સવારે ઝોકું આવી જવાથી કાર ટ્રક સાથે અથડાઈ હતી.
જણાવી દઈએ કે, મૃતકોમાં 4 મહિલા અને 2 પુરૂષ છે. પટણાના જક્કનપુર સ્થિત સુદામા કૉલોની નિવાસી વિશુન દેવ પ્રસાદના દીકરા સંજય કુમાર, પત્ની કરૂણા દેવી, દીકરા લાલ બાબૂ સિંહ તેમની ભત્રીજી અને પ્રિયમ કુમારી છે. આ સિવાય પટણાના કુંભાર નિવાસી આનંદ સિંહની દીકરી આશા કિરણ, ચંદ્રભૂષણ પ્રસાદની દીકરી જૂહી રાની અકસ્માતમાં મોતને ભેટ્યાં છે.
મૃતક સંજયના ભાઈએ જણાવ્યું હતું કે બુધવારે, એક સ્કોર્પિયોમાં 7 લોકો અને બલેનો કારમાં પતિ-પત્ની, પુત્ર અને ભત્રીજી સહિત 6 લોકો પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણીમાં સ્નાન કરવા ગયા હતા. શુક્રવારે પ્રયાગરાજથી પરત ફરતી વખતે સંજય કુમારનો પુત્ર લાલ બાબુ કાર ચલાવી રહ્યો હતો અને આ સમય દરમિયાન લાલ બાબુ સૂઈ ગયા.