Thursday, Mar 19, 2026

કામરેજ આશ્રમમાં નકલી નોટોનો ભાંડાફોડ: પ્રદીપ ગુરુજી સહિત 6 ઝડપાયા, મોટું રેકેટ બહાર આવ્યું

3 Min Read

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરતના કામરેજમાં આવેલા ‘શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન’ના આશ્રમમાં દરોડો પાડી નકલી નોટોનું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. આશ્રમની આડમાં ચાલતા આ ગોરખધંધામાં પોલીસે આશ્રમના ગુરુ પ્રદીપજીની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન નકલી નોટો છાપવાના મશીનો, સાધનો અને અનેક શંકાસ્પદ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. બે કરોડની નકલી નોટોના આ કેસમાં હવે પોલીસ આશ્રમના અન્ય કનેક્શનની ઊંડી તપાસ કરી રહી છે.

પોલીસે અમરાઈવાડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ ગાડી મળી આવી હતી, જેના પર ‘ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા’ અને ‘આયુષ મંત્રાલય’નું લખાણ હતું. આ ગાડી સત્યમ યોગ ફાઉન્ડેશનની હતી, જેનો ઉપયોગ પોલીસને છેતરવા માટે કરવામાં આવતો હતો. પોલીસે આ ગાડીમાંથી રૂ.500ના દરની રૂ.2.10 કરોડની નકલી નોટો કબ્જે કરી છ લોકોની અટકાયત કરી હતી.

ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ આખું રેકેટ સુરતથી ચાલતું હતું. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામમાં આવેલા ‘શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન’ના આશ્રમમાં જ આ નકલી નોટો છાપવામાં આવતી હતી. ક્રાઇમ બ્રાન્ચે આશ્રમમાં દરોડા પાડીને રૂપિયા 80 લાખની વધારાની નકલી નોટો, નોટો છાપવા માટેના હાઈ-ટેક કલર પ્રિન્ટર અને મશીનો અને અન્ય વાંધાજનક દસ્તાવેજો કબ્જે કર્યા છે.

આરોપીઓએ બજારમાં નોટો વહેતી કરવા માટે એક આકર્ષક સ્કીમ બનાવી હતી. તેઓ રૂ.500ની એક અસલ નોટ સામે રૂ.1500ની નકલી નોટો આપતા હતા. એટલે કે રૂ.66 લાખની અસલ ચલણી નોટના બદલામાં બે કરોડ રૂપિયાની નકલી નોટો આપવાનો સોદો નક્કી થયો હતો. આરોપીઓ એજન્ટોની એક મોટી ફોજ તૈયાર કરવાની પેરવીમાં હતા અને સારા કમિશનની લાલચ આપીને આ રેકેટને દેશવ્યાપી બનાવવાનું આયોજન કરી રહ્યા હતા. જોકે, તેઓ તેમની પહેલી મોટી ડીલ કરે તે પહેલા જ પોલીસના સકંજામાં આવી ગયા.

આ કેસમાં મુખ્ય સૂત્રધાર મનાતો યોગગુરુ પ્રદીપ અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યો છે. વર્ષ 2018માં તેણે પોતાના જ આશ્રમના દસ સાધકો પર ગંભીર આક્ષેપો કરતીસાત પાનાની સ્યુસાઇડ નોટ લખીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હવે તે આધ્યાત્મિકતાના ઓઠા હેઠળ આર્થિક ગુનાખોરીના આ ગંભીર રેકેટમાં ઝડપાયો છે.

ક્રાઇમ બ્રાન્ચે રૂ.500ના દરની આશરે 40,000થી વધુ નોટો કબ્જે કરી છે. આટલી મોટી સંખ્યામાં નોટોના સિરીયલ નંબર લખવા અને કાયદેસરનું પંચનામું કરવામાં પોલીસની આખી રાત વીતી ગઈ હતી. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે શું આ પહેલા કોઈ જથ્થો બજારમાં પહોંચાડવામાં આવ્યો છે કે કેમ અને આ નેટવર્કના તાર અન્ય રાજ્યો સાથે જોડાયેલા છે કે નહીં.

Share This Article