રાષ્ટ્ર વિરોધી નારા લગાવવા બદલ ધરપકડ કરાયેલા મધ્યપ્રદેશના યુવક ફૈઝલે આજે મંગળવારે હાઈકોર્ટના આદેશ પર ભોપાલ પોલીસ સ્ટેશનમાં આવેલા ત્રિરંગાને 21 વખત સલામી આપી અને દરેક વખતે ભારત માતાની જયના નારા લગાવ્યા હતા. તેણે ‘પાકિસ્તાન ઝિંદાબાદ અને ભારત મુર્દાબાદ’ના નારા લગાવવા બદલ પસ્તાવો પણ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે, તેણે રીલ બનાવતી વખતે ભૂલથી તે સ્લોગનનો ઉપયોગ કર્યો હતો.

ફૈઝલને જામીન આપતાં મધ્યપ્રદેશ હાઈકોર્ટની જબલપુર બેંચે એવી શરત મૂકી હતી કે તેણે મહિનામાં બે વખત ભોપાલના મિસરોડ પોલીસ સ્ટેશનમાં તિરંગાને સલામી આપવી પડશે. જ્યાં સુધી મામલો થાળે ન પડે ત્યાં સુધી તેણે મહિનાના પહેલા અને ચોથા મંગળવારે તિરંગાને સલામી આપવી પડશે અને ‘ભારત માતા કી જય’ ના નારા લગાવવા પડશે. કોર્ટના આદેશ બાદ ફૈઝલે તેની શરૂઆત કરી છે.
આરોપી ફૈઝલ ઉર્ફે ફૈઝાનની મે મહિનામાં ભોપાલના મિસરોડ પોલીસ સ્ટેશન ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 153B(રાષ્ટ્રીય એકતા માટે પ્રતિકૂળ નિવેદનો) હેઠળ FIR દાખલ કર્યા પછી ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે, ફૈઝાને પાકિસ્તાનના સમર્થનમાં અને ભારત વિરુદ્ધ નારા લગાવ્યા હતા. ફરિયાદ પક્ષે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, તેની ક્રિયાઓ વિવિધ ગ્રુપ વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા સમાન છે અને તે સંવાદિતા અને રાષ્ટ્રીય એકતા માટે જોખમી છે. બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે, તેમના અસીલને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના વકીલે જામીનનો વિરોધ કરતા કહ્યું કે, અરજદાર રીઢો ગુનેગાર છે અને તેની સામે 14 ફોજદારી કેસ નોંધાયેલા છે.