રાજસ્થાનના અલવર જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ખુશખેડા ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા સાત લોકોના જીવતા ભુંજાઈ જવાથી કરૂણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અંદર કામ કરી રહેલા લોકોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી.
રાજસ્થાનના અલવર જિલ્લાના ખુશખેડા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સોમવારે સવારે 10 વાગ્યાની આસપાસ આ કરૂણ ઘટના બની હતી. પ્લોટ નંબર G-1, 118માં આવેલી આ ફેક્ટરી છેલ્લા ઘણા મહિનાઓથી બંધ પડી હતી. અચાનક ફેક્ટરીમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું અને જોતજોતામાં આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ. આ દુર્ઘટનામાં 7 લોકો જીવતા સળગી ગયા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ, વહીવટી અધિકારીઓ, ફાયર બ્રિગેડના અનેક વાહનો, બચાવ ટીમો અને તબીબી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો, અને આગને કાબુમાં લેવા અને અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બે લોકો અંદર ફસાયેલા હોવાની આશંકા છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી . શરૂઆતમાં, એવું માનવામાં આવી રહ્યું છે કે આગ શોર્ટ સર્કિટ અથવા જ્વલનશીલ પદાર્થોના કારણે લાગી હશે. વહીવટીતંત્રે આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસનો સંકેત આપ્યો છે. ફેક્ટરીના સલામતીના પગલાંની પણ તપાસ કરવામાં આવશે. આ દુ:ખદ અકસ્માત બાદ ઔદ્યોગિક વિસ્તારમાં કામગીરી પ્રભાવિત થઈ છે. વહીવટીતંત્રે મૃતકોના પરિવારોને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે.