જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના હીરાનગર વિસ્તારમાં રવિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં આતંકવાદીઓની હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સેનાના જવાનો પર ગોળીબાર શરૂ કરી દીધો. જે પછી એન્કાઉન્ટર શરૂ થયું. સુરક્ષા દળોએ આ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો છે.
આ કામગીરીમાં ભારતીય સેના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, સીઆરપીએફ, બીએસએફના સૈનિકો સામેલ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના ડીજીપી અને તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. સેનાએ આ ઓપરેશનને સાનિયાલ નામ આપ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન જ્યારે સેનાના જવાનો આતંકવાદીઓની નજીક પહોંચ્યા ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. જે બાદ સુરક્ષા દળોએ પણ વળતો જવાબ આપ્યો. આ ઓપરેશન દરમિયાન એક બાળકી પણ ઘાયલ થઈ હોવાનું જાણવા મળ્યું છે અને તેને હીરાનગરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે એક મહિલા તેના પતિ સાથે સરહદ નજીકના વિસ્તારોમાં લાકડાં એકઠા કરવા ગઈ હતી. આ સમય દરમિયાન તેમને આતંકવાદીઓએ બંધક બનાવ્યા હતા. જોકે, કોઈક રીતે મહિલા આતંકવાદીઓના ચુંગાલમાંથી છટકી જાય છે. આ પછી તક જોઈને પતિ પણ ત્યાંથી ભાગી ગયો અને બંનેએ પોલીસને આતંકવાદીઓ વિશે જાણ કરી. આ પછી સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું.
જમ્મુમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદીઓની અથડામણની ઘટનાઓ સતત વધી રહી છે. 17 માર્ચ 2025એ કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક પાકિસ્તાની આતંકવાદી ઠાર મરાયો હતો. હાલમાં જ કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓએ ત્રણ નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી. જેમાંથી એક 14 વર્ષનો યુવક પણ હતો.