દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા વાંસદા વિસ્તારમાં આજે અચાનક ભૂકંપના આચંકા અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, રિક્ટર સ્કેલ પર અંદાજે 3.4 તીવ્રતાનો આ ભૂકંપ નોંધાયો હતો, જેના કારણે લોકો ઘરો અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપનું એપીસેન્ટર વાંસદાથી અંદાજે 22 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવા છતાં મોટા આંચકા અનુભવાતા લોકોમાં અચાનક ગભરાટ ફેલાયો હતો. સદનસીબે, હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયાના અહેવાલ સામે આવ્યા નથી. ભૂકંપવિજ્ઞાનીઓ મુજબ, 3 થી 4 તીવ્રતાના ભૂકંપ સામાન્ય રીતે નાની અસર કરતા હોય છે, પરંતુ લોકો તેને સરળતાથી અનુભવી શકે છે.
ગુજરાતમાં અગાઉ પણ આ પ્રકારના હળવા આંચકા નોંધાતા રહ્યા છે, જે સામાન્ય ભૂકંપીય પ્રવૃત્તિનો ભાગ ગણાય છે. સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. નિષ્ણાતોએ લોકોને સાવચેતી રાખવા અને કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં સુરક્ષિત સ્થળે જવાની સલાહ આપી છે.