યુએસ અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં યોજાનારી મહત્વની વાતચીતના માત્ર એક દિવસ પહેલાં જ કુવૈત પર ડ્રોન હુમલો થયો છે. કુવૈતની સરકારે આ હુમલાને ઈરાન અને તેના પ્રોક્સીઓનું કારસ્તાન ગણાવ્યું છે. આ ઘટનાએ ગલ્ફ પ્રદેશમાં નવો તનાવ વધાર્યો છે અને બે અઠવાડિયાના સીઝફાયરની કચરને વધુ અસ્થિર બનાવી દીધી છે.
કુવૈતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ગુરુવારે સાંજે ડ્રોન હુમલામાં નેશનલ ગાર્ડની એક મહત્વની સુવિધા સંપૂર્ણપણે નાશ પામી છે. હુમલામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ મોટું ભૌતિક નુકસાન થયું છે. કુવૈતે આને તેના આકાશી સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું અને ઈરાન તથા તેના સમર્થક સમૂહોને જવાબદાર ઠેરવ્યા છે. કુવૈતી આર્મીએ જણાવ્યું કે એર ડિફેન્સ સિસ્ટમે કેટલાક ડ્રોનને અટકાવ્યા, પરંતુ એકે નેશનલ ગાર્ડ સુવિધાને નિશાન બનાવી.
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)એ આ આરોપને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. આઈઆરજીસીએ કહ્યું કે તેઓએ કોઈ હુમલો કર્યો નથી અને આ ઘટના યુએસ સમર્થકોની ષડ્યંત્ર હોઈ શકે છે.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુએસ અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના માધ્યમથી બે અઠવાડિયાનું સીઝફાયર જાહેર થયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક દારે જણાવ્યું કે ઇસ્લામાબાદમાં શુક્રવારે (11 એપ્રિલ) ઈરાન અને યુએસ વચ્ચે વાતચીત શરૂૂ થવાની છે. ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સની આગેવાનીમાં આ વાતચીત થવાની છે. પાકિસ્તાને આ વાતચીતનું માધ્યમ બનીને શાંતિ પ્રક્રિયાને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે.
કુવૈતના આ હુમલા પછી ગલ્ફ દેશોમાં ચિંતા વધી ગઈ છે. સાઉદી અરેબિયાએ પણ તાજેતરમાં પોતાના વાઇટલ પાઈપલાઈનને નુકસાનની જાણ કરી છે. કુવૈતે આ હુમલાને સીઝફાયરનું ઉલ્લંઘન ગણાવ્યું છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે.
આ ઘટના સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરના તાજેતરના તનાવ સાથે જોડાયેલી છે. ઈરાને તેલ પરિવહન માર્ગને નિયંત્રિત કરવાની ધમકી આપી છે, જ્યારે યુએસ અને તેના સહયોગી દેશો કુવૈત જેવા ગલ્ફ દેશોને સુરક્ષા આપવાનો દાવો કરી રહ્યા છે. આ હુમલાથી ઇસ્લામાબાદ વાતચીત પર અસર પડી શકે છે અને સીઝફાયરની વિશ્વસનીયતા પર સવાલ ઊઠ્યા છે.