Friday, Oct 24, 2025

ડોનાલ્ડ ટ્રમ્પનું નોબેલ શાંતિ પુરસ્કાર માટે ફરીથી નામાંકન

2 Min Read

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે બીજું નામાંકન મળ્યું છે. આ વખતે ઇઝરાયેલ તરફથી ટ્રમ્પને નામાંકિત કરવામાં આવ્યા છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ ટ્રમ્પને જણાવ્યું હતું કે તેઓ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરી રહ્યા છે. ટ્રમ્પ અને નેતાન્યાહુએ તાજેતરમાં ઈરાનના પરમાણુ સ્થાનો પર કરવામાં આવેલા સંયુક્ત હુમલાઓને સંપૂર્ણ રીતે સફળ ગણાવ્યા હતા અને સોમવારે વિજયનો ઉત્સવ મનાવ્યો હતો. તેના અગાઉ પાકિસ્તાન તરફથી પણ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકન મળી ચૂક્યું છે.

બંને નેતાઓએ ઈરાન સામેની કાર્યવાહી, તેમ જ ગાઝા પટ્ટીમાં છેલ્લા 21 મહિનાથી ચાલતા યુદ્ધને અટકાવવા માટે 60 દિવસના સંઘર્ષવિરામના પ્રયાસોને લઈને અમેરિકાના ‘વ્હાઇટ હાઉસ’માં રાત્રિભોજન દરમિયાન તેમના ઉચ્ચ સહયોગીઓ સાથે ચર્ચા કરી હતી.

નેતાન્યાહુએ ટ્રમ્પને નામાંકન પત્ર સોંપ્યો
નેતન્યાહુએ નોબેલ સમિતિને સોંપવાના પત્રને ટ્રમ્પને આપતાં જણાવ્યું હતું કે અમે જ્યારે વાત કરીએ છીએ ત્યારે તેઓ (ટ્રમ્પ) એક પછી એક દેશ અને પ્રદેશમાં શાંતિ સ્થાપિત કરી રહ્યા છે. આ પગલું ત્યારે લેવામાં આવ્યું છે જ્યારે નેતાન્યાહુ સહિત અનેક ઇઝરાયેલી નેતાઓ લાંબા સમયથી ટ્રમ્પ અને અન્ય અમેરિકન નેતાઓ પર ઈરાનના પરમાણુ કાર્યક્રમ સામે સૈન્ય કાર્યવાહી માટે દબાણ કરી રહ્યા હતા. ટ્રમ્પે અમેરિકન સેનાને ત્રણ મુખ્ય ઈરાની પરમાણુ સ્થળો પર બોમ્બ ફેંકવાનો અને ટોમહોક મિસાઇલ હુમલાની સૂચના આપી હતી. આ વર્ષે નેતાન્યાહુની વ્હાઇટ હાઉસની આ ત્રીજી મુલાકાત છે.

ટ્રમ્પે પરમાણુ યુદ્ધ અટકાવ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “અમે ઘણા યુદ્ધો અટકાવ્યા છે, જેમાંથી સૌથી મોટું યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે હતું. ટ્રેડ ડીલનો ઉપયોગ કરીને અમે આ યુદ્ધ અટકાવ્યું. અમે ભારત અને પાકિસ્તાન સાથે કામ કરી રહ્યા છીએ. અમે કહ્યું હતું કે જો તમે યુદ્ધમાં જોડાશો તો અમે તમારી સાથે વેપાર નહીં કરીએ. બંને વચ્ચે પરમાણુ યુદ્ધ શરુ થઇ શકે એમ હતું, તેને રોકાવું મહત્વપૂર્ણ હતું.”

Share This Article