Saturday, Mar 7, 2026

સુરતના પાલ બ્રિજ પર મોડી રાત્રે ડોક્ટરની કારે ટેમ્પાને મારી ટક્કર; 5 લોકો ઈજાગ્રસ્ત

3 Min Read

સુરતના પાલ અને ઉમરા વિસ્તારને જોડતા વ્યસ્ત બ્રિજ પર મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ખાનગી તબીબે પોતાની કાર વડે ટેમ્પાને ટક્કર મારતા તેમાં સવાર પાંચ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક તપાસમાં લાંબી સર્જરી બાદ લાગેલો થાક આ અકસ્માતનું કારણ હોવાનું સામે આવ્યું છે. પાલ પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, 39 વર્ષીય ડો. વિરલકાંત નલીનકાંત ચૌધરી વ્યવસાએ સર્જન છે. તેઓ મોડી રાત્રે હોસ્પિટલમાં એક લાંબી સર્જરી પૂર્ણ કરીને પોતાની કારમાં પાલ-ઉમરા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બ્રિજ ઉતરતી વખતે તેમની કારે આગળ જઈ રહેલા એક ટેમ્પાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પામાં સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી અને રાત્રિના શાંત વાતાવરણમાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત

આ અકસ્માતમાં ટેમ્પામાં સવાર બે મહિલાઓ સહિત કુલ ૫ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોની ઓળખ નીચે મુજબ છે:

  • હિંમતભાઈ નાથાભાઈ બોરિયા (ઉ.૪૫)
  • ભાવિકબેન ચુડાસમા (ઉ.૩૨)
  • પારુલબેન ઈશ્વરભાઈ રાઠોડ (ઉ.૩૫)
  • મનીષાબેન યોગેશભાઈ રાઠોડ
  • પ્રકાશસિંગ (ઉ.૩૫)

તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પાલ પોલીસે જણાવ્યું હતું કે, સદનસીબે આ અકસ્માતમાં કોઈને ગંભીર અથવા જીવલેણ ઈજા થઈ નથી, જે એક મોટી રાહતની વાત છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડોક્ટર વિરલકાંતે જણાવ્યું હતું કે, તેઓ આખો દિવસ હોસ્પિટલમાં જટિલ સર્જરીઓમાં વ્યસ્ત હતા. લાંબી કામગીરીને કારણે તેઓ અત્યંત થાકેલા હતા. બ્રિજ ઉતરતી વખતે અચાનક તેમને ઊંઘનું ઝોકું આવી ગયું હતું, જેના કારણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો હતો.

પાલ પોલીસે આ મામલે ગંભીરતા દાખવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સમયે ડોક્ટર કેફી દ્રવ્ય કે નશાની હાલતમાં હતા કે કેમ તેની ખાતરી કરવા માટે પોલીસે તેમના બ્લડ સેમ્પલ લીધા છે અને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જોકે, ડોક્ટરે પોતે થાકને જવાબદાર ગણાવ્યો છે, પરંતુ પોલીસ તમામ પાસાઓથી તપાસ કરી રહી છે.

આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે વાહન ચલાવતી વખતે માનસિક અને શારીરિક સ્વસ્થતા કેટલી અનિવાર્ય છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા કામના ભારે બોજ બાદ વાહન ચલાવવું જોખમી સાબિત થઈ શકે છે. સુરત પોલીસ દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે જો થાક અનુભવાય તો વાહન ચલાવવાને બદલે થોડો આરામ કરવો જોઈએ અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.

Share This Article