Friday, Mar 20, 2026

ડૉક્ટરની સલાહ વિના દવાઓ ન લો: બેદરકારી બની શકે ઘાતક, PM મોદીની મહત્વપૂર્ણ અપીલ

6 Min Read

દેશના અનેક લોકો સામાન્ય બીમાર પડ્યા બાદ ડોક્ટર પાસે સારવાર કરાવવાને બદલે પોતાના નજીકના દવાના સ્ટોર પર જતા હોય છે અને તેઓ દુકાનદારને બીમારીની માહિતી આપી દવા લેતા હોય છે, જોકે આ આદત ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. દવા લેવાની આ પદ્ધતિને ધ્યાને લઈને વિજ્ઞાનીઓએ પણ ચેતવણી આપી છે કે, ભારત ધીમે ધીમે નવી મહામારી તરફ આગળ વધી રહ્યો છે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં એન્ટી-માઇક્રોબિયલ રેઝિસ્ટન્સના ઉપયોગને લઈ ચિંતા વ્યક્ત કરી છે.

એન્ટી-માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ ખૂબ જ નુકસાનકારક
જ્યારે બેક્ટેરિયા, વાઇરસ, ફૂગ કે પરોપજીવીઓ સમય જતાં બદલાય છે અને તેમની સામે વપરાતી દવાઓ (જેમ કે એન્ટિબાયોટિક્સ) તેમના પર અસર કરવાનું બંધ કરી દે છે, ત્યારે તે સ્થિતિને એન્ટી-માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. જે બીમાર લોકો તાત્કાલિક બીમારી દૂર કરવા માટે ડોક્ટર પાસે જવાના બદલે દુકાનમાંથી એન્ટિબાયોટિક્સ જેવી દવાઓ ખરીદીને તુરંત સાજા થવા માંગે છે, તે ખૂબ જ ગંભીર બાબત છે. કારણ કે આવી રીતે જ એન્ટિબાયોટિક્સ લેવાના કારણે આજે ભારત એન્ટિબાયોટિક્સ રેઝિસ્ટન્સના સૌથી ખતરનાક સ્તરે પહોંચી ગયું છે.

દુકાનદાર પાસે જઈને એન્ટિબાયોટિક્સ દવા લેવી જોખમી
વાસ્તવમાં દિલ્હીના 11 જિલ્લામાં એક સર્વે હાથ ધરાયો હતો, જેમાં બીમાર લોકો દ્વારા પોતાની જાતે દવા લેવાની આદતનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ઘણીવાર એવું બને છે કે, જ્યારે વ્યક્તિગત ઉપચારથી કામ થતું નથી, ત્યારે આપણે સૌથી પહેલા આપણા નજીકના ફાર્મસીનો સંપર્ક કરીએ છીએ. જ્યારે આપણે બીમાર પડીએ છીએ, ત્યારે સૌપ્રથમ ડોક્ટર પાસે જવાના બદલે દવાની દુકાને પહોંચી જઈએ છીએ. આમાં પ્રિસ્ક્રિપ્શનની જરૂર હોતી નથી અને માત્ર બીમારી કહેવામાં આવે, તો દવા મળી જાય છે. આ દરમિયાન બીમાર વ્યક્તિના મનમાં માત્ર એવું હોય છે કે, તેણે જલ્દી સાજા થવું હોય છે અને તે વિચારતો પણ નથી કે, તેને થયેલી બીમારી વાઇરલ છે કે બેક્ટેરિયલ… તેઓ એ પણ જાણતા નથી કે, દુકાનદારે આપેલી એન્ટિબાયોટિક્સ વાઇરસ દૂર કરશે કે નહીં. જોકે આવી ભૂલ માત્ર બીમાર વ્યક્તિને જ નહીં અન્ય લોકો માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે.

દવાનો અધૂરો કોર્સ છોડી દેનારા સાવધાન
આવી રીતે એન્ટિબાયોટિક્સ લીધા બાદ આપણે બે દિવસમાં સાજા થઈ જઈએ છીએ. આ દરમિયાન આપણે ડોક્ટરના બદલે દુકાનદાર પાસે જઈને દવા લેવાની બાબતને યોગ્ય માની લઈએ છીએ. એટલું જ નહીં પછી દવા પણ છોડી દઈએ છીએ, કોર્સ પણ પૂરો કરતા નથી. જોકે આપણે એ જાણતા જ નથી કે, અધૂરા કોર્સના કારણે બેક્ટેરિયા મરતા નથી, પરંતુ તે એન્ટિબાયોટિક્સ બેક્ટેરિયાને વધુ મજબૂત બનાવે છે, એટલે કે બેક્ટેરિયાની લડવાની શક્તિ વધારે છે. આવી એન્ટિબાયોટિક્સ બેક્ટેરિયાને દવાથી બચવાની રીત શિખવાડે છે.

એન્ટિબાયોટિક્સ લઈને બીમારી દૂર કરનાર વ્યક્તિમાં જ્યારે ફરી બીમારી આવે ત્યારે નવા કીટાણુને તે એન્ટિબાયોટિક્સ મારવામાં સક્ષમ રહેતી નથી. તેથી જ તેને શક્તિશાળી કીટાણુ (સુપર બગ) કહેવામાં આવે છે. આમ આ રીતે દવા લેવાની આદત માત્ર પોતાના માટે જ નહીં, અન્ય લોકો માટે પણ ખતરો ઊભો કરે છે.

ડોક્ટર પાસે કેમ જવું જરૂરી?
બીમાર પડ્યા બાદ ડૉક્ટર પાસે જવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ડૉક્ટર વ્યક્તિનું ચેક અપ કરીને તેને કેટલા ડોઝની કઈ દવાની જરૂર છે, તે પ્રિસ્ક્રિપ્શનમાં લખીને આપે છે. આ દરમિયાન ડોક્ટર દર્દીને કોર્સ પણ પૂરો કરવાની સલાહ આપતા હોય છે. જોકે આપણે તાત્કાલિક બીમારી દૂર કરવા માટે સ્ટ્રોંગ દવા લેવાની ઈચ્છા રાખીએ છીએ, તેથી આપણે દુકાનદાર પાસે પહોંચી જઈ છે. જ્યારે ડૉક્ટર કોર્સ મુજબ દવા આપતા હોય છે, ત્યારે તે બીમારીને ધીમે ધીમે દૂર કરવાની હોય છે, જો તાત્કાલિક હેવી ડોઝ આપીને બેક્ટેરિયા દૂર કરવામાં આવે તો બેક્ટેરિયા તે હેવી ડોઝ સામે લડવાની ક્ષમતા બનાવી લે છે, જેના કારણે પછીના સમયમાં હેવી ડોઝ પણ કામ આવતો નથી, જેના કારણે ચેપ ફેલાવવાનું જોખમ વધવાની સાથે દવા બેઅસરનું જોખમ પણ વધે છે.

એન્ટિબાયોટિક્સનો પહેલેથી જ ઉપયોગ પણ નુકસાનકારક
સૌથી મહત્ત્વની વાત એ છે કે, સાધારણ બીમારી કે દુખાવો દૂર કરવા માટે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ન કરાય, કારણ કે તે છેલ્લું હથિયાર છે. પરંતુ જો આપણે આ છેલ્લા હથિયારને પહેલેથી જ ઉપયોગ કરીશું તો બેક્ટેરિયા છેલ્લા હથિયાર સાથે લડવામાં સક્ષમ થઈ જશે. આ પાસાઓને જોતા વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે, જો એન્ટિબાયોટિક્સ દવાઓનો આવી રીતે ઉપયોગ થતો રહેશે તો ભવિષ્યમાં ઓપરેશન, ડિલિવરી, સામાન્ય ઈન્ફેક્શન સહિતની બીમારી દૂર કરવામાં મોટું જોખમ ઊભું થશે.

સુપર બગ કેટલા ખતરનાક હોય છે?
જ્યારે આપણે વારંવાર અયોગ્ય રીતે દવાઓ (એન્ટિબાયોટિક્સ) લઈએ છીએ, તો બેક્ટેરિયા, વાઇરસ, ફૂગ કે પરોપજીવી કીટાણુઓ પોતાને એન્ટિબાયોટિક્સ સામે લડવા માટે વધુ સક્ષમ બનાવે છે. જેના કારણે પછી એન્ટિબાયોટિક્સ દવાઓથી પણ બીમારી દૂર થતી નથી. સાયન્સની ભાષામાં આવા અજેય કીટાણુઓને જ સુપર બગ કહેવામાં આવે છે. ભારતમાં એન્ટિબાયોટિક્સના વધુ પડતા ઉપયોગના કારણે આવા કેટલાક કીટાણુઓ હવે લડવામાં સક્ષમ બની ગયા છે, જેના કારણે શરીર પર દવાની અસર થવાની સંભાવનાઓ ઘટી ગઈ છે.

‘સુપર બગ જીન’ તરીકે ઓળખાતું એનડીએમ-1 શરીરમાં બેક્ટેરિયા સામે લડવામાં સક્ષમ થઈ ગયું હોવાનું કહેવાય છે, જેના કારણે કોઈપણ દવાની કોઈ અસર થતી નથી. આના કારણે યુરિન ઇન્ફેક્શન અથવા ન્યુમોનિયા જેવા રોગ સામાન્ય દવાથી દૂર થતા નથી અને દર્દીને આઈસીયુમાં ભરતી કરવા પડે છે.

Share This Article