12 જૂને અમદાવાદથી લંડન જતું વિમાન ક્રેશ થઈ બી.જે મેડિકલ હોસ્ટેલ પર પડ્યું હતું. આ દુર્ઘટનામાં 279 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને હવે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી શરૂ છે. તાજેતરની માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 184 મૃતકોના DNA મેચ થયા છે. જોકે, હજુ સુધી DNA મેચ કરવાની પ્રોસેસ શરૂ છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપેલી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 184 મૃતકોના ડીએનએ મળ્યા છે. જેમાં 181 મૃતકોના પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાંથી 158 મૃતદેહોને પરિવારને સોંપી દેવામાં આવ્યા છે.
ડૉકટરના જણાવ્યા અનુસાર DNA સેમ્પલ મેચિંગની પ્રોસેસ અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રોસેસ ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સહિત વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે. જેમ જેમ પરિણામો આવતા જશે એમ એમ વધુ ડીએનએ મેચ થશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે.
આંકડા પર એક નજર
દુર્ઘટનામાં ઘાયલ દર્દીઓમાંથી સારવાર માટે દાખલ કરવામાં આવેલા 71 દર્દીઓમાંથી 2 દર્દીના મૃત્યુ નિપજ્યા છે. જોકે, બાકીના 69માંથી 42 ઘરે સાજા થઈને પાછા આવ્યા છે અને 1 દર્દીની સ્થિતિ હજુ ખૂબ ગંભીર છે અને બાકીના દર્દીઓ સારવાર હેઠળ છે. જોકે, 30 મેડિકલ વિદ્યાર્થીઓમાંથી હવે ફક્ત એક જ વિદ્યાર્થી દાખલ છે, અન્યને ડિસ્ચાર્જ કરી દેવાયા છે.