શ્રીલંકાની ખાનગી એરલાઇન ફિટ્સએર 15 મેથી અમદાવાદ અને કોલંબો વચ્ચે સીધી (નોન-સ્ટોપ) ફ્લાઇટ્સ શરૂ કરવા માટે તૈયાર છે. આ સેવા અઠવાડિયામાં ત્રણ વખત સોમવાર, બુધવાર અને શુક્રવારે કાર્યરત થશે, જેનાથી ગુજરાતથી શ્રીલંકાનો પ્રવાસ સમય ફક્ત ત્રણ કલાકનો થશે. અગાઉ ગુજરાતથી શ્રીલંકા જનારા મુસાફરોને મુંબઈ અથવા ચેન્નાઈ થઈને કનેક્ટિંગ ફ્લાઇટ્સ લેવી પડતી હતી, જેના કારણે કુલ મુસાફરીનો સમયગાળો 9 થી 10 કલાક સુધીનો થઈ જતો હતો.
પ્રવાસીઓના આગમનમાં વધારો થવાની સંભાવના
પીટીઆઈના અહેવાલ મુજબ, વોકર્સ ટુર્સના ડેસ્ટિનેશન મેનેજમેન્ટ સેક્ટરના સીઈઓ નાલાકા અમરાતુંગાએ જણાવ્યું હતું કે સીધી ફ્લાઇટ્સ શરૂ થવાથી અમદાવાદ-કોલંબો મુસાફરીનો સમય ઘટીને માત્ર ત્રણ કલાક થઈ જશે. આનાથી ગુજરાતથી શ્રીલંકાની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. હાલમાં ગુજરાત વાર્ષિક આશરે 25000 થી 30,000 પ્રવાસીઓ શ્રીલંકા જાય છે. અમરાતુંગાના જણાવ્યા મુજબ આ નવી સીધી ફ્લાઇટ્સની શરૂઆત સાથે આગામી વર્ષોમાં આ આંકડો બમણો થઈ શકે છે.
શ્રીલંકાની પ્રથમ ખાનગી આંતરરાષ્ટ્રીય એરલાઇન
શ્રીલંકાની પ્રથમ ખાનગી આંતરરાષ્ટ્રીય એરલાઇન તરીકેનું ગૌરવ ધરાવતી ફિટ્સએર, સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા, સિનામન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ અને વોકર્સ ટુર્સ સાથે સહયોગથી આ રૂટનું સંચાલન કરશે. જોન કીલ્સ હોલ્ડિંગ્સ (વોકર્સ ટુર્સની પેરેન્ટ કંપની) ખાતે લેઝર એન્ડ પ્રોપર્ટીના પ્રમુખ નયના માવિલમાડાએ જણાવ્યું હતું કે આ સેવા ગુજરાતથી વધતા જતા આઉટબાઉન્ડ ટ્રાવેલ માર્કેટને લક્ષ્ય બનાવે છે. જે શ્રીલંકાના પ્રવાસન માટે મુખ્ય સ્ત્રોત ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે.
ફ્લાઇટ્સ કેવી રીતે બુક કરવી
હાલમાં ક્યુરેટેડ ટ્રાવેલ પેકેજો દ્વારા ફ્લાઇટ બુકિંગની સુવિધા આપવામાં આવી રહી છે જેમાં એરફેર, હોટેલ રહેઠાણ અને સ્થાનિક અનુભવોનો સમાવેશ થાય છે. વધુમાં પેકેજ બુક ના કરવાનું પસંદ કરતા પ્રવાસીઓ માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્વતંત્ર ખરીદી માટે મર્યાદિત સંખ્યામાં ટિકિટ ઉપલબ્ધ થશે. કોલંબોમાં સ્થિત સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકાને એક સંકલિત સ્થળ તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે જે આતિથ્ય, મનોરંજન અને જીવનશૈલી સુવિધાઓની વ્યાપક શ્રેણી પ્રદાન કરે છે. પ્રવાસીઓને સિનામન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સની વિવિધ મિલકતોમાં રોકાવાનો વિકલ્પ મળશે.
ફ્લાઇટનો સમય શું હશે?
અમરતુંગાએ જણાવ્યું હતું કે સુધારેલ હવાઈ જોડાણ પ્રવાસીઓના આગમનને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ભાગીદારી અમદાવાદ અને કોલંબો વચ્ચેના પ્રવાસના અનુભવને વધુ સુવ્યવસ્થિત કરશે. નવી ફ્લાઇટ્સ વહેલી સવાર અને મધ્ય સવારના સ્લોટ માટે શેડ્યૂલ કરવામાં આવી છે, જ્યારે કોલંબોથી અમદાવાદની પરત ફ્લાઇટ્સ અનુરૂપ સમયે ઉપલબ્ધ રહેશે.