દિલ્હીથી શિરડી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં સવાર 150 થી વધુ મુસાફરો માટે રવિવારની રાત ભારે ફાળકાભરી રહી હતી. શિરડી એરપોર્ટ પર જોરદાર પવન અને ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ અશક્ય બનતા પાયલટે સાવચેતીના ભાગરૂપે વિમાનને સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કર્યું હતું. સુરત એરપોર્ટ પર સલામત લેન્ડિંગ થતા જ મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.
માહિતી અનુસાર, ઈન્ડિગોની આ ફ્લાઈટ દિલ્હીથી નિર્ધારિત સમયે ઉપડી હતી. જ્યારે વિમાન શિરડી એરપોર્ટની નજીક પહોંચ્યું, ત્યારે ત્યાં ભારે પવન અને ઓછી વિઝિબિલિટીને કારણે પાયલટને લેન્ડિંગમાં મુશ્કેલી પડી હતી. વાતાવરણ સુધરવાની આશામાં પાયલટે સતત 1 કલાક (60 મિનિટ) સુધી શિરડીના આકાશમાં વિમાનને ગોળ-ગોળ ફેરવ્યું હતું. વારંવારના ચકરાવાને કારણે અંદર બેઠેલા બાળકો અને વૃદ્ધો સહિતના મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
અંતે કોઈ જોખમ ન લેતા પાયલટે સુરત એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કરી લેન્ડિંગની મંજૂરી માંગી હતી. સુરત એરપોર્ટ પર વિમાનનું સફળ ટચ-ડાઉન થતા જ મુસાફરોએ તાળીઓના ગડગડાટ સાથે પાયલટનો આભાર માન્યો હતો. સુરત એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફે ગભરાયેલા મુસાફરોને શાંત પાડ્યા હતા અને જરૂરી મેડિકલ ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.
હવામાન વિભાગ તરફથી શિરડીમાં સ્થિતિ સામાન્ય હોવાના અહેવાલ મળતા જ, મોડી રાત્રે ફ્લાઈટને સુરતથી ફરી શિરડી માટે રવાના કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમને કારણે મુસાફરો નિર્ધારિત સમય કરતા આશરે 3 કલાક મોડા શિરડી પહોંચ્યા હતા. શિરડી એરપોર્ટ પર ઉતરાણ થતા જ ભક્તોએ ‘સાંઈ રામ‘ ના નાદ સાથે હાશકારો અનુભવ્યો હતો.