સુરતમાં કારખાનામાં લાગેલી આગના કારણે સિલિન્ડર બ્લાસ્ટમાં 2 લોકોના મોતના થયા છે જ્યારે 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ભરતનગર ગૌશાળા વિસ્તારની ઘટના છે. અહીં આવેલા એમ્બ્રોઇડરી કારખાનામાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાં જ ત્રીજા માળ પર પડેલા 8 સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.
આ જગ્યાએ 13 લોકો ફસાયેલા હતા. 13માંથી 2 લોકોના મોત થયા છે, જ્યારે 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ આગની વચ્ચેથી 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પતરાના શેડ કાપી 11 લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતા. રેસ્ક્યુ કરેલા લોકોને પણ નાની મોટી ઇજા થઇ હોવાથી 11 લોકોને તાબડતોબ રેસ્ક્યુ બાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આગ લાગી ત્યારે કારખાનામાં કારીગરો કામ કરતા હતા. ફાયર કોલ મળતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવા અને કારીગરોને રેસ્ક્યુ કરવા માટે કવાયત હાથ ધરી હતી.
આજે સવારે અંદાજે 05:30 વાગ્યે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે, કાપોદ્રા રચના સર્કલથી આગળ, ગૌશાળા પાસે આવેલા ભરતનગરના મારુતિ ચોક નજીક આગ લાગી છે. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક અલગ-અલગ ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
ફાયર વિભાગના જણાવ્યાં અનુસાર, ઘટનામાં 11 લોકોને ઈજા થઈ હતી, જેમાંથી બેના મોત થયા છે. ઉલ્લેખનિય છે કે આ કારખાનામાં સિલિન્ડર હોવાથી બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અહીં એક નહિ પરંતુ 8 સિલિન્ડર હતા જેમાંથી 2 સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો અને 6 સિલિન્ડર સત્વરે બહાર લઇ જવાયા હતા. કારખાનામાં રાખેલા સિલિન્ડરમાં બ્લાસ્ટના કારણે આગ ભીષણ બની હતી પરંતુ કારખાનામાં સૌ પ્રથમ આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણી શકાયું નથી. આ મામલે તપાસ હાથ ધરી છે.