Thursday, Mar 26, 2026

પાકિસ્તાન માટે જાસૂસી કરતો CRPF જવાન ઝડપાયો, NIAની મોટી કાર્યવાહી

2 Min Read

પહલગામમાં ઈસ્લામિક જેહાદી આતંકી હુમલા પછી અને ખાસ કરીને ઓપરેશન સિંદૂરને પગલે સમગ્ર દેશમાં જાસૂસો ઝડપાઈ રહ્યા છે જેઓ પાકિસ્તાનને ભારતીય સશસ્ત્ર દળોની ગુપ્ત માહિતી પહોંચાડી રહ્યા હતા. હાલ તત્કાળ મળતા સમાચાર અનુસાર રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા દિલ્હીમાંથી CRPFના એક જવાનને ઝડપી લેવામાં આવ્યો છે. તે ભારતની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ CRPFના આ જવાનની ધરપકડ કરવામાં આવી છે. ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડવાના બદલામાં સીઆરપીએફના આ જવાનને નાણા મળતા હતા. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને માહિતી પહોંચાડતો હોવાનું જાણવા મળ્યું છે.

NIAએ CRPF જવાનની પૂછપરછ શરૂ કરી છે. તે સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓપરેટિવના સંપર્કમાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ, જવાને સોશિયલ મીડિયા દ્વારા જ દેશ સાથે સંબંધિત ગુપ્ત માહિતી મોકલવાનું શરૂ કર્યું હતું. તેને આના બદલામાં પૈસા પણ મળ્યા હતા.

જવાનને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો
જવાનની ધરપકડ બાદ તેને CRPFના નિયમો અનુસાર નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે. આરોપીએ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સને અનેક સંવેદનશીલ માહિતી મોકલી હતી. ભારતમાં ઓપરેશન સિંદૂર બાદ અનેક જાસૂસો પકડાયા છે. તેમાં સૌથી ચર્ચિત નામ જ્યોતિ મલ્હોત્રાનું છે. યૂટ્યૂબર જ્યોતિ પર પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલવાનો આરોપ છે. તે ભારતમાં પાકિસ્તાન હાઈ કમિશન દ્વારા પાકિસ્તાનના ગુપ્તચર અધિકારીઓના સંપર્કમાં આવી હતી.

NIA નું નિવેદન
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે સંવેદનશીલ માહિતી શેર કરવા બદલ CRPFના એક જવાનની ધરપકડ કરી છે.

આરોપી, મોતી રામ જાટ, જાસૂસી પ્રવૃત્તિમાં સક્રિય રીતે સામેલ હતો અને 2023 થી પાકિસ્તાન ગુપ્તચર અધિકારીઓ (PIOs) સાથે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત વર્ગીકૃત માહિતી શેર કરી રહ્યો હતો. એજન્સીએ વધુમાં શોધી કાઢ્યું છે કે તે વિવિધ માધ્યમો દ્વારા PIOs પાસેથી ભંડોળ મેળવતો હતો.

દિલ્હીથી મોતી રામની ધરપકડ કરનાર NIA આરોપીની પૂછપરછ ચાલુ રાખી રહી છે, જેને પટિયાલા હાઉસ કોર્ટની સ્પેશિયલ કોર્ટે 6 જૂન સુધી એજન્સીની કસ્ટડીમાં મોકલી દીધો છે.

Share This Article