અમદાવાદ સલામત શહેર હોવાના ગાણાં ગાવામાં આવે છે. પરંતુ આ દરમિયાન ગુજરાત વિધાનસભામાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં બળાત્કારના કુલ 565 ગુના નોંધાયા છે. એટલું જ નહીં ખૂન, ચોરી અને અપહરણ તેમજ દારૂને લગતા ગુનાઓના બનાવોમાં વધારો થયો હતો. અમદાવાદમાં સતત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ યોજાઇ રહી છે ત્યારે અનેક પ્રકારના ગુનાઓમાં વધારો થઇ રહ્યો છે.
કોંગ્રેસના સભ્યો દ્વારા અમદાવાદમાં ગુનાખોરી અંગે પૂછાયેલા સવાલના લેખિત જવાબમાં ગૃહ વિભાગે માહિતી આપી હતી. ડિસેમ્બર-2025ની સ્થિતિએ અમદાવાદ અને રાજકોટમાં મળીને બે વર્ષમાં કુલ 62, 762 આરોપીઓ પકડાયા હોવાની અને 385 આરોપીઓને પકડવાના બાકી હોવાની જાણકારી પણ અપાઇ હતી. 44,288 ગુનાના ભેદ પણ ઉકેલવામાં આવ્યા છે.
અન્ય એક સવાલના જવાબમાં ગૃહ વિભાગે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ડ્રગ્સ, અફીણ, ચરસ અને ગાંજા સંબંધિત ગુનામાં રાખવામાં આવેલા આરોપીઓની કુલ સંખ્યા 737 છે. જ્યારે કુલ 338 આરોપીઓને જેલમાંથી જામીન મળતા મુક્ત કરવામાં આવ્યા છે.
અમદાવાદની સાબરમતી જેલમાં જાન્યુઆરી-2026ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ 6 આરોપીઓએ આપઘાત કર્યો હોવાની માહિતી પણ અપાઇ હતી. તેની પાછળના કારણોમાં સજા થવાનો તણાવ, પોતાના ગુના બદલ શું સજા થશે, ટીબીની બીમારીથી લાગી આવતા, પ્રેમિકાએકેસ કરતા જેલમાં રહેવું પડેશે તેવો ડર અને જામીન નહીં મળવા સહિતના કારણોથી જેલમાં આરોપીઓએ આપઘાત કર્યો હોવાનું વિભાગ દ્વારા જણાવાયું હતું.
ગુજરાતમાં વિવિધ એજન્સીઓએ વર્ષ 2025 દરમિયાન અમદાવાદમાં ₹10.71 કરોડની ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને ₹3.87 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું, તેમ રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું. આ જ સમયગાળા દરમિયાન સુરતમાં ₹6.63 કરોડની IMFL અને ₹13.29 કરોડની કિંમતના નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે અમદાવાદ અને સુરતમાં દારૂ અને ડ્રગ્સના જથ્થા, ધરપકડ કરાયેલા અને ફરાર આરોપીઓની સંખ્યા અને ફરજમાં બેદરકારી બદલ પોલીસ કર્મચારીઓ સામે લેવાયેલા પગલાંની વિગતો માંગી હતી.
લેખિત જવાબમાં, ગૃહ વિભાગે જણાવ્યું હતું કે દારૂના વેપાર અથવા ડ્રગ્સના વેચાણમાં સંડોવણી બદલ છેલ્લા એક વર્ષમાં 24,793 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 316 આરોપીઓ હજુ પણ ફરાર છે. છેલ્લા એક વર્ષમાં જિલ્લા ફેર બદલી, સસ્પેન્શન અને દંડ જેવા પગલાં દ્વારા 40 અધિકારીઓ અને 574 કોન્સ્ટેબલો સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે.
દારૂબંધીનો મુદ્દો ઉઠાવતા કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પૂછ્યું હતું કે શું રાજ્યમાં કાયદાનું અસરકારક રીતે પાલન થઈ રહ્યું છે? હું મંત્રી પાસેથી જાણવા માંગુ છું કે શું રાજ્યમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે? તેમજ, દારૂના ચલણમાં સંડોવણી બદલ નીચલા સ્તરના પોલીસ કર્મચારીઓને દંડ કરવા માટેના નિર્ધારિત નિયમો છે, તો શું સરકાર ઉચ્ચ પોલીસ અધિકારીઓ માટે પણ આવા નિયમો બનાવવાનો ઈરાદો ધરાવે છે? તેવો પ્રશ્ન કર્યો હતો.
આના જવાબમાં સરકારે કહ્યું કે દારૂ અને નશીલા પદાર્થો વિરુદ્ધ ગુજરાત પોલીસના પ્રયાસો મજબૂત અને સતત છે. કાયદો અમલમાં છે તેને કારણે જ ગુજરાત ATS એ કેન્દ્રીય દળો સાથે મળીને નશીલા પદાર્થોના કન્સાઈનમેન્ટ પકડવા માટે હિંમતભર્યા ઓપરેશન હાથ ધર્યા છે. કેટલાય કિસ્સાઓમાં, ATS એ એવા નશીલા પદાર્થો જપ્ત કર્યા છે જે ગુજરાતમાં ઉતારવાના પણ નહોતા.