દિલ્હી સહિત અનેક રાજ્યોમાં શાળાઓ, હાઈકોર્ટ અને સરકારી કચેરીઓમાં આતંક મચાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે કર્ણાટકના મૈસુરમાં આરોપી યુવકની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ 47 વર્ષીય શ્રીનિવાસ લુઈસ તરીકે થઈ છે. પોલીસે કર્ણાટક પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી એક લેપટોપ અને અનેક સિમ કાર્ડ મળી આવ્યા છે, જે બધા જ જપ્ત કરવામાં આવ્યા છે.
અહેવાલ છે કે આરોપીની ધરપકડ કર્યા પછી, પોલીસે તેને મૈસુર કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી લાવવામાં આવી રહ્યો છે. આરોપીની વધુ પૂછપરછ દિલ્હીમાં થશે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપીએ આ કૃત્ય એકલા કર્યું છે કે તેના કોઈ સાથીદાર સંડોવાયેલા છે કે નહીં. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીના લેપટોપની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીની તપાસમાં 1,100 ઇમેઇલ મોકલ્યાનો ખુલાસો થયો છે. આરોપીએ આ ઇમેઇલ કેમ મોકલ્યા, તેની પાછળ તેનો હેતુ શું હતો? આ અને અન્ય પ્રશ્નોના જવાબ આપવા માટે, આરોપીની ટૂંક સમયમાં પૂછપરછ કરવામાં આવશે.
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપી શ્રીનિવાસ લુઈસની ગુરુવારે મૈસુરના વૃંદાવન લેઆઉટ સ્થિત એક ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે વિવિધ સ્થળોએથી ધમકીભર્યા ઈમેલ અને મેેેસેજ મોકલતો હતો. આરોપી દ્વારા દિલ્હી હાઈકોર્ટના જજને પણ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ન્યાયાધીશની ફરિયાદ બાદ, અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે ઘણા અઠવાડિયાની ટેકનિકલ તપાસ બાદ શ્રીનિવાસ લુઈસની ઓળખ થઈ હતી. પૂછપરછ દરમિયાન, આરોપીએ ધમકીભર્યા મેસેજ મોકલવાની કબૂલાત કરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બેંગ્લોરનો રહેવાસી શ્રીનિવાસ અનુસ્નાતક છે. તે હાલમાં બેરોજગાર છે અને તેની માતા સાથે રહે છે. તેની માતા નિવૃત્ત સરકારી કર્મચારી છે. ઘરનું ગુજરાન તેના પેન્શનથી ચાલે છે. પ્રાથમિક તપાસ સૂચવે છે કે તે માનસિક તણાવથી પીડાતો હોઈ શકે છે, જેના કારણે તેણે આ કૃત્ય કર્યું હોઈ શકે છે. પોલીસનું કહેવું છે કે તેણે જાણી જોઈને કોર્ટ, શાળાઓ અને કોલેજોને નિશાન બનાવ્યા હતા જેથી વધુ આતંક ફેલાય. સમગ્ર કેસની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.