Thursday, Mar 5, 2026

સી.આર. પાટીલે ભાજપના ભુલાઈ ગયેલા વરિષ્‍ઠ આગેવાનોને આમંત્રીને સુખદ ભૂતકાળની યાદો તાજી કરી

7 Min Read
  • ૮૫-૯૫ની ઉંમરે પહોંચેલા અને પડોશી માટે પણ અજાણ એવા આગેવાનોને શોધી-શોધીને યાદ કર્યા, સાથે બેસીને જમાડ્યા અને ભૂતકાળને પણ વાગોળ્યો
  • સુરતનો ભવાની વડ, ભાગળ, રૂવાળા ટેકરો, કોટસફીલ રોડ, ચોકબજારની ઘટનાઓ અને ભાજપનું બીજ રોપનારા અનેક નેતાઓને યાદ કરતાં વરિષ્‍ઠોના ચહેરા આનંદથી ખીલી ઊઠ્યા
  • કાશીરામ રાણા, ફકીર ચૌહાણ, ચંપકલાલ સુખડિયા, હેમંત ચપટવાલા, અરવિંદ ગોદીવાળા, કનુભાઈ જોષી, પ્રતાપ દેસાઈ, સુમન દેસાઈ, ગુલાબદાસ ખસી, નરેન્દ્ર ગાંધી, અજય ચોક્સી, નીતિન ભજિયાવાલા, કિશોર વાંકાવાલા, કનુભાઈ માવાણી, ડૉક્ટર અશોક, પૂર્ણેશ મોદી સહિત અનેકને યાદ કરીને પ્રસંગો વર્ણવ્યા
  • સી.આર. પાટીલે સુરતની માટી સાથે વણાયેલો પોતાનો ભૂતકાળ અને રાજકીય ક્ષેત્રે સતત પ્રગતિ, શેરીમાંથી ઊઠીને સીધા કેન્દ્રીય મંત્રી અને પક્ષની વિવિધ જવાબદારીઓ માટે વડાપ્રધાન મોદી અને પક્ષની નેતાગીરી માટે અહોભાવ પ્રગટ કર્યો
  • કારણ ગમે તે હોય, પરંતુ સી.આર. પાટીલના સ્નેહમિલને અનેક વમળો પેદા કર્યા, કેટલાય લોકો હજુ પણ માથું ખંજવાળતા હશે

ભાજપના કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના મજબૂત ‘મોભ’ જેવા સી.આર. પાટીલ આજકાલ જુદા જ મૂડમાં જોવા મળી રહ્યા છે. પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત થયા બાદ ભાજપને વધુ મજબૂત બનાવવા રચનાત્મક પ્રવૃત્તિ સાથે ભાજપના ભુલાઈ ગયેલા આગેવાનો, કાર્યકરોને યાદ કરી-કરીને મળી રહ્યા છે.

કેન્દ્રીય જળમંત્રી તરીકેની જવાબદારીને પગલે સપ્‍તાહમાં છ દિવસ દિલ્હી અને દેશનાં વિવિધ ભાગોમાં સતત પ્રવાસ કરતા રહે છે. સાથે પોતાના મતવિસ્તાર ‘નવસારી’ને પણ સતત જાળવી રહ્યા છે. સી.આર. પાટીલના મિજાજમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ પક્ષને વધુ સંગઠિત બનાવવા તરફ વધુ ને વધુ લક્ષ આપી રહ્યા છે. હમણાં થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્રના ખૂબ સંવેદનશીલ ગણાતા અમરેલી જિલ્લાના રાજુલા ખાતે એક સંમેલનમાં હાજરી આપીને પક્ષ અને સામાજિક વિચારધારામાં ‘ભાજપ’ને કેન્દ્રમાં રાખવાના સંનિષ્‍ઠ પ્રયાસો કર્યા હતા. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરને ભૂતકાળમાં બસમાં સીટ રોકવા માટે મૂકવા આવતા ‘રૂમાલ’વાળી વાત યાદ કરાવી હતી. સી.આર. પાટીલ અને અમરીશ ડેર વચ્ચેની ‘રૂમાલ’વાળી વાત કાયમી ઉદાહરણ જેવી બની ગઈ છે.

ઉંમર અને સંજોગો સાથે માનવીય જીવનમાં બદલાવ આવવો સ્વાભાવિક છે, પરંતુ સી.આર. પાટીલ માટે આ ‘સ્વભાવિક’ ઉદાહરણ લાગુ પડતું નથી. કારણ સી.આર. પાટીલની રાજકીય કાર‌િકર્દી જોવામાં આવે તો તેમની પ્રત્યેક પ્રક્રિયા પાછળ પક્ષનું કોઈ ચોક્કસ લક્ષ છુપાયેલું હોય છે. વડાપ્રધાન મોદીના અત્યંત વિશ્વાસુ સી.આર. પાટીલ વર્તમાન હાલતમાં ઘણાને શાંત લાગતા હશે, પરંતુ બની શકે કે કોઈ મોટી છલાંગ પહેલાની શાંતિ હોઈ શકે.

સી.આર. પાટીલને કારણ વગર નિવેદન કરવાની આદત નથી અને જ્યારે નિવેદન કરે છે ત્યારે તેમનો ‘વાર’ ક્યારેય ખાલી ગયો નથી. ગઈકાલે એટલે કે રવિવારે સુરતની વૈભવી હોટેલ ‘અવધ યુટોપિયા’માં એક આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જનમાનસમાંથી ભુંસાઈ ગયેલા ‘જનસંઘ’ના જમાનાના અને ભાજપના સ્થાપનાકાળનાં અગ્રણીઓને યાદ કરી-કરીને આમંત્રણો પાઠવવામાં આવ્યાં હતાં. તદ્દન હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને પાડોશીઓ પણ ઓળખતા ન હોય એવા ભાજપના વયોવૃદ્ધ અને પાયાની ઈંટ મૂકનાર લોકોને યાદ કરી-કરીને બોલાવવામાં આવ્યા હતા. કહેવા માટે આ ઘટના સ્નેહમિલન અને સન્માન સમારંભ હતો, પરંતુ સિનિયર સિટીઝન ગણાતા ભાજપના વયોવૃદ્ધ આગેવાનોના ચહેરા ઉપર આનંદ ખીલી ઊઠ્યો હતો. આ આગેવાનોને તેમની કદર સાથે પક્ષમાં હજુ પણ તેમનું સ્થાન હોવાનો અહેસાસ થઈ રહ્યો હતો.

નવાઈ તો એ વાતની હતી કે, પક્ષના ફકીર ચૌહાણ, સ્નેહલતાબેન ચૌહાણ, ગીતાબેન દેસાઈ સહિત વરિષ્‍ઠ અગ્રણીઓનું તિલક કરીને સ્વાગત કરાયું ત્યારે ભાવવિભોર બની ગયા હતા અને જૂનું સુરત, તળ સુરત, ભવાની વડ, ભાગળ, કોટસફીલ રોડ, જૂનો કિલ્લો, ભાગાતળાવ, જૂના અને નવા શહેરનું વિસ્તરણ અને પાંચ લાખનું સુરત ૮૫ લાખ સુધી વિસ્તરતું જોનાર ભાજપના પ્રચાર માટે ઘર ઘરના ઓટલા સુધી જનાર સિનિયર આગેવાનોની જૂની આંખોમાં દૃશ્યો તાજાં થઈ આવ્યાં હતાં. અનેક આગેવાનોએ રાજમાર્ગના ડિમોલિશનની ઐતિહાસિક ઘટનાઓ યાદ કરી ઘર ગુમાવનારા પરિવારોને પણ યાદ કર્યા હતા.

એક સમયે ભાજપના સુપ્રીમો ગણાતા કાશીરામ રાણા, સુમન દેસાઈ, અરવિંદ ગોદીવાળા, પ્રતાપ દેસાઈ, કિશોર વાંકાવાળા, ચંપકલાલ સુખડિયા, કનુભાઈ જોષી, નરેન્દ્ર ગાંધી, ગુલાબદાસ ખસી, હેમંત ચપટવાલા સહિત અનેકને યાદ કરી-કરીને ભુલાઈ ગયેલી ઘટનાઓ યાદ કરી હતી અને સી.આર. પાટીલને અભિનંદન પાઠવ્યા હતા. ફકીર ચૌહાણ સહિત અનેક આગેવાનોએ કોટસફીલ રોડ ઉપરની પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈની જાહેરસભા અને સી.આર. પાટીલે અર્પણ કરેલી ૧૧ લાખની થેલીની ઘટનાને પણ વાગોળી હતી.

સી.આર. પાટીલનો દેખીતો ઉદ્દેશ જૂની પેઢીના આગેવાનોને યાદ કરવા સાથે નવી પેઢી સમક્ષ ભાજપનો ઇતિહાસ તાજો કરવાનો પ્રયાસ હશે. પરંતુ સ્નેહમિલન અને ભોજન સમારંભને કારણે સુરત શહેરમાં અને ભાજપમાં એક ચોક્કસ ચર્ચાને સ્થાન મળ્યું હતું.

સી.આર. પાટીલે પણ ગણેશોત્સવ, જન્માષ્ટમી, ગોવિંદા જેવા ‌ઉત્સવોને તાજા કરીને ભૂતકાળને વાગોળ્યો હતો. આજ સુરત શહેરની માટીમાં રમીને પોલીસદળથી કાર‌િકર્દીની શરૂઆત કરીને ભાજપના વિવિધ પદો ઉપર નિમણૂક પામીને પ્રદેશ અધ્યક્ષ, કેન્દ્રીય મંત્રી બનવા ઉપરાંત વડાપ્રધાનની આગેવાની હેઠળ વિવિધ જવાબદારી ઉઠાવ્યાનો આનંદ વહેંચ્યો હતો. એક હકીકત એ પણ છે કે, ભાજપના નેતૃત્વએ ક્યારેય પણ સી.આર. પાટીલ સાથે અન્યાય કર્યો નથી. કોર્પોરેટર કે ધારાસભ્ય બનાવવાને બદલે સીધા જ સાંસદની ટિકિટ આપીને કેન્દ્રીય કેબિનેટ મંત્રી મંડળમાં સ્થાન આપીને વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય નેતૃત્વએ સી.આર. પાટીલનું હંમેશાં મહત્ત્વ જાળવ્યું છે. ભાજપ નેતાગીરી માટે સી.આર. પાટીલ હંમેશાં મુશ્કેલ સમયના ‘પ્રહરી’ રહ્યા છે. પક્ષ માટે કટોકટીનાં સમયે તેમણે ક્યારેય પીઠ બતાવવાનું કામ કર્યું નથી અને એટલે જ ભાજપનું સર્વોચ્ચ નેતૃત્વ સી.આર. પાટીલની પડખે ઊભંુ રહેતું આવ્યું છે.

ખેર! પક્ષના આગેવાનોને યાદ કરીને સી.આર. પાટીલે ચોક્કસ પક્ષમાં સકારાત્મક ઊર્જા પેદા કરી છે. સ્નેહમિલનમાં ઘણા ભુલાઈ ગયેલા ચહેરાઓ જોવા મળ્યા હતા. કારણ, સી.આર. પાટીલે એકએકને શોધી શોધીને આમંત્રણ પાઠવ્યા હતા. જેમાં સવિતાબેન શારદા, સુષ્માબેન અગ્રવાલ, રાજેશ દેસાઈ, રણજીત ચીમના, અજય ચોક્સી, વિવેક પટેલ, કાંતિ જોષી, પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા, આર.કે. લા‌િઠયા ઉપરાંત વર્તમાન ધારાસભ્યો સંગીતા પાટીલ, પ્રવીણ ઘોઘારી, સંદીપ દેસાઈ, મનુ પટેલ, કાંતિ બલર, અરવિંદ રાણા, વિધાનસભાના ઉપાધ્યક્ષ અને સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી, પૂર્વ મંત્રી મુકેશ પટેલ, વિનુ મોરડીયા, પૂર્વ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, નીતિન ભજીયાવાળા, મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ સહિત કોર્પોરેટરો, પક્ષના હોદ્દેદારોએ હાજરી આપી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ હાજરી આપીને વડીલોના આશીર્વાદ લીધા હતા.

Share This Article