Wednesday, Feb 18, 2026

ગ્રાહકની ફરિયાદ ભારે પડી: Ola Electricના CEO ભાવિશ અગ્રવાલ સામે ધરપકડ વોરંટ, જાણો સમગ્ર મામલો

3 Min Read

દેશની મુખ્ય ઈલેક્ટ્રી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની ‘ઓલા ઈલેક્ટ્રીક’ની મુશ્કેલીમાં વધારો થયો છે. ઈવીમાં લાગી રહેલી આગ જેવા પડકારોનો સામનો કરી રહેલા કંપનીના સીઈઓ અને ફાઉન્ડર ભાવિશ અગ્રવાલ મોટી મુસીબતમાં ફસાયા છે. ગોવાની ગ્રાહક તકરાર નિવારણ આયોગે ઓલા ઈલેક્ટ્રીક સંબંધીત એક કેસમાં કડક વલણ અપનાવીને ભાવિશ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે.

વાસ્તવમાં પ્રીતિશ ચંદ્રકાંત ઘાડીએ ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કરી છે. ઘાડીએ આક્ષેપ કર્યો છે કે, તેમણે ઓલાને ઈલેક્ટ્રીક બાઈક રેપિરંગ કરવા માટે આપ્યું હતું. જોકે કંપની તે બાઈકની કોઈપણ માહિતી આપતી નથી. ચોંકાવનારી વાત એ છે કે, ઘાડીએ ઓલાને પહેલેથી જ બાઈકની સંપૂર્ણ કિંમત ચુકવી દીધી છે, છતાં તેમને હજુ સુધી બાઈક અપાઈ નથી. એટલું જ નહીં કંપની તેમને સંતોષકારણ જવાબ પણ આપતી નથી.

ફરિયાદીએ કહ્યું કે, તેણે ઓલા ઈલેક્ટ્રીક પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ઈલેક્ટ્રીક બાઈક ખરીદી હતી. થોડા સમય બાદ તેમાં ખામી શરૂ થઈ ગઈ, ત્યારબાદ તેમણે બાઈક રિપેરિંગ કરવા માટે ઓલાને સોંપી દીધી. ઘણો લાંબો સમય થવા છતા હજુ સુધી બાઈક રિપેરિંગ કરીને પરત અપાઈ નથી અને હાલ તેઓની બાઈક ક્યાં છે, તેની માહિતી કંપની આપી જ નથી.

ગોવાના ગ્રાહક વિવાદ નિવારણ પંચ ઘાડીની ફરિયાદને ગંભીરતાથી લીધી છે. પંચે ચોથી ફેબ્રુઆરીએ આપેલી આદેશમાં કહ્યું છે કે, ગ્રાહકે ઓલાને સંપૂર્ણ કિંમત ચૂકવી છતાં કંપનીએ ખૂબ જ બેજવાબદારભર્યું વર્તન દાખવ્યું છે. કંપનીએ ગ્રાહક વિરુદ્ધ કરેલો વ્યવહાર બેજવાબદાર અને ઉદાસીન છે. આ જ કારણે ફરિયાદીની બાઈક વિશે સ્પષ્ટ માહિતી મળે તે માટે, પંચે ઓલા ઈલેક્ટ્રીકના CEO અને ફાઉન્ડર ભાવિશ અગ્રવાલ (Bhavish Aggarwal)ને વ્યક્તિગત હાજર થવાનો આદેશ આપ્યો છે. પંચે તેમને બાઈક રિપેરિંગ કરવામાં આટલો લાંબો સમય કેમ લાગ્યો અને ડિલીવરી કેમ કરવામાં આવી નથી, તેનો જવાબ આપવા આદેશ કર્યો છે.

હાજર ન થતા ધરપકડ વોરંટ
પંચનો આદેશ છતાં ભાવિશ અગ્રવાલ હાજર થયા નથી, જેના કારણે પંચે કડક વલણ અપનાવીને બેંગલુરુ પોલીસને તેમના વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ ફટકારવાનો આદેશ આપ્યો છે. આદેશ મુજબ 1,47,499ના રકમના જામીન વોરંટ જારી કરવામાં આવ્યા છે. પંચે તેમના બેંગલુર સ્થિત નિવાસસ્થાને વોરંટ મોકલવાનો આદેશ આપ્યો છે. જો તેઓ પોલીસ સમક્ષ હાજર થાય અને આ રકમ જેટલા જામીન રજૂ કરે, તો તેમની ધરપકડ ટાળી શકાય છે. પંચે આગામી સુનાવણી 23 ફેબ્રુઆરી-2026ના રોજ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. સીઈઓ અને ફાઉન્ડર ભાવિષ અગ્રવાલે આ જ દિવસે હાજર થવાનું છે.

Share This Article