Friday, Oct 31, 2025

અમરેલી લેટરકાંડ મામલે સુરતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પરેશ ધાનાણીની અટકાયત

2 Min Read

અમરેલી લેટરકાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા હવે સુરતમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી. જેના પગલે આજે વહેલી સવારથી જ વરાછા મીનીબજાર ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચી રહ્યા હતા, જ્યારે આંદોલનની ચીમકીને પગલે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને પ્રતાત દૂધાત પહોંચતા જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે.

નોંધનીય છે કે, આંદોલનની ચીમકીના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આંદોલનની પરમિશન આપવામાં આવી નથી. વરાછા પોલીસે પરમિશન આપી નથી. આવામાં મહિલા પોલીસની સ્પેશિયલ ટીમ પણ ગોઠવાઈ હતી. જ્યારે 5 પોલીસ વાન ખડકી દેવાઈ હતી અને 100થી વધુ પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો હતો.

પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ‘અમરેલીમાં પાટીદાર સાથે જે બન્યું છે, તેને ન્યાય અપાવવા માટે લડત લડી રહ્યા છે. અમે માનગઢ ચોક ખાતે ધરણાં પ્રદર્શન માટે પરવાનગી માંગી હતી, પરંતુ પોલીસે પરવાનગી આપી ન હતી.’ ‘ખરેખર આ પ્રકારના ધરણાં પ્રદર્શન માટે પરવાનગી લેવાની જરૂર હોતી નથી. અમે પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે શાંતિથી ધરણાં કરવાના હતા. હાલ અહીં પોલીસ ગોઠવી દેવામાં આવી છે. જો અમને પરવાનગી આપવામાં નહી આવે તો અમે વરાછા પોલીસ સ્ટેશનમાં જ ધરણાં શરૂ કરી દઇશું.’

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 4 કાર્યકરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.

આ પણ વાંચો :-

Share This Article