Wednesday, Feb 25, 2026

કોંગ્રેસ એટલે નિષ્ફળ ગયેલી પ્રોડક્ટ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો પ્રહાર

2 Min Read

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્યપાલના સંબોધન પરની ચર્ચામાં ભાગ લેતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસની કાર્યશૈલી, પરિવારવાદ અને ભૂતકાળના શાસનકાળની સરખામણી વર્તમાન સ્થિતિ સાથે કરતા ગૃહમાં અનેક ગંભીર કટાક્ષ કર્યા હતા.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ કોંગ્રેસને એક ‘નિષ્ફળ ગયેલી પ્રોડક્ટ’ સાથે સરખાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ દર વખતે નવા પેકિંગમાં જૂની પ્રોડક્ટ લોન્ચ કરે છે પરંતુ તે સતત નિષ્ફળ જાય છે. રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે પ્રહાર કરતા કહ્યું કે, ‘કોંગ્રેસમાં માત્ર એક જ પરિવારનું શાસન ચાલે છે. પરિવાર રાત કહે તો રાત અને દિવસ કહે તો દિવસ -તેવું વાતાવરણ ત્યાં જોવા મળે છે.’ વધુમાં તેમણે ઉમેર્યું કે, ચૂંટણી સમયે ક્યારેક ટોપી પહેરીને તો ક્યારેક જનોઈધારી બનીને જનતાને છેતરવાના પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ કેમેરા હટતા જ અસલી ચહેરો સામે આવી જાય છે.

કોંગ્રેસના શાસનકાળને યાદ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ કહ્યું કે, તે સમયે વિકાસ ક્યાંક ખૂણામાં બેસીને ડુસકાં ખાતો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની વિકટ સ્થિતિ હતી. મહિલાઓને બે-બે બેડાં માથે લઈને કિલોમીટરો સુધી ભટકવું પડતું હતું. તેમણે ભાવુકતા સાથે ઉમેર્યું કે, ‘જો ઘરમાં બે ભાઈ-બહેન હોય, તો એકનું આખું જીવન માત્ર પાણી લાવવામાં જ વીતી જતું હતું.’ તે સમયે ટ્રેનો દ્વારા પાણી પહોંચાડવાની નોબત આવતી હતી, જે સ્થિતિ વર્ષ 2001માં નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા બાદ બદલાઈ છે.

નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસની નકારાત્મક માનસિકતા પર નિશાન સાધતા જણાવ્યું કે, કોંગ્રેસે હંમેશા રાષ્ટ્રહિતના કાર્યોનો વિરોધ કર્યો છે. કલમ 370 હટાવવી હોય કે રામ મંદિરનું નિર્માણ કોંગ્રેસે દરેક તબક્કે અવરોધો ઊભા કર્યા છે. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ ઠુકરાવીને કોંગ્રેસે પોતાની વિચારધારા સ્પષ્ટ કરી દીધી છે. અંતમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ ટોપી પહેરે તેની સામે વાંધો નથી, પરંતુ દિલ્હીથી આવીને ગુજરાતની જનતાને ‘ઊંધી ટોપી’ પહેરાવવાનો જે પ્રયાસ કરે છે તે ચિંતાનો વિષય છે.

Share This Article