ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ગત રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ઝડપી કારની ટક્કરથી CNG ટાંકી ફાટતાં કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં આઝમગઢમાં તહેનાત પોલીસ કોન્સ્ટેબલ જાવેદનો આખો પરિવાર – બે મહિલાઓ અને ત્રણ બાળકો સહિત પાંચના દર્દનાક મોત નિપજ્યાં હતા.
CNG ટાંકીમાં બ્લાસ્ટ
અહેવાલો મુજબ, કોન્સ્ટેબલ જાવેદનો પરિવાર કારમાં મઉથી લખનઉ તરફ જઈ રહ્યો હતો. બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર તેમની કારને પાછળથી પૂરઝડપે આવતી અન્ય એક કારે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારની CNG ટાંકી ફાટી ગઈ અને ગણતરીની સેકન્ડોમાં કારમાં ભીષણ આગ લાગી ગઈ.
કારમાં ફસાયેલી બે મહિલાઓ અને ત્રણ બાળકો સહિત પાંચ લોકો આગને કારણે દરવાજો ખોલી શક્યા નહોતા અને જીવતા બળી ગયા હતા. પોલીસ અને સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પાંચેય લોકોને બહાર કાઢ્યા હતા, પરંતુ તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ચૂક્યું હતું.