લદ્દાખમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરતાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ લદ્દાખના જાણીતા કાર્યકર્તા સોનમ વાંગચુકની અટકાયત રદ કરી છે. વધતા વિરોધ પ્રદર્શન વચ્ચે લગભગ છ મહિના બાદ લેવામાં આવેલા આ નિર્ણયને પ્રદેશમાં શાંતિ સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
કેન્દ્ર સરકારનો આ નિર્ણય સુપ્રીમ કોર્ટેમાં વાંગચુકની પત્ની ગીતાંજલિ જે. એંગ્મો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી મુલતવી રાખ્યા બાદ આવ્યો છે. ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર અને પી.બી. વરાલેની બેન્ચ આ મામલે 17 માર્ચે સુનાવણી કરશે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ તારીખ પછી વધુ દલીલો સાંભળવામાં આવશે નહીં.
વાંગચુકને ગયા વર્ષે 26 સપ્ટેમ્બરે NSA હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેમના પર 24 સપ્ટેમ્બરે લદ્દાખમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનને પ્રેરિત કરવાનો આરોપ હતો. આ પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું.
ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લેહ શહેરમાં સર્જાયેલી કાયદો અને વ્યવસ્થાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર વાંગચુકને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. હાલ તેઓ અટકાયતના સમયગાળાનો મોટો ભાગ પસાર કરી ચૂક્યા છે.
પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે સરકાર લદ્દાખના લોકોની માંગ અને ચિંતાઓને સમજવા માટે વિવિધ સમુદાયના નેતાઓ અને હિતધારકો સાથે સતત સંવાદમાં છે. પરંતુ સતત બંધ અને વિરોધના વાતાવરણને કારણે વિદ્યાર્થીઓ, નોકરી શોધતા યુવાનો, વેપારીઓ, ટૂર ઓપરેટરો અને પ્રવાસન ઉદ્યોગ પર નકારાત્મક અસર પડી રહી છે.
સરકારે જણાવ્યું કે લદ્દાખમાં શાંતિ, સ્થિરતા અને પરસ્પર વિશ્વાસનું વાતાવરણ સર્જવું તેની પ્રાથમિકતા છે. આ માટે હિતધારકો સાથે રચનાત્મક સંવાદને પ્રોત્સાહન આપવામાં આવશે. યોગ્ય વિચારણા બાદ NSA હેઠળની સત્તાનો ઉપયોગ કરીને વાંગચુકની અટકાયત તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારે ફરી એકવાર લદ્દાખની સુરક્ષા અને વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને આશા વ્યક્ત કરી છે કે પ્રદેશ સંબંધિત મુદ્દાઓ સંવાદ અને રચનાત્મક ચર્ચા દ્વારા ઉકેલાશે. આ માટે ઉચ્ચ સ્તરીય સમિતિ સહિત વિવિધ મંચો દ્વારા ચર્ચા આગળ વધારવામાં આવશે.