ભારતીય રેલ્વેએ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. રેલ્વેએ તમામ પેસેન્જર કોચમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા, ભારતીય રેલ્વેના તમામ 74,000 કોચ અને 15,000 એન્જિનમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે સૂચના આપવામાં આવી છે.
શનિવારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુ દ્વારા ઉત્તર રેલવેમાં પાયલોટ ધોરણે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફાયદાઓની સમીક્ષા કર્યા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, મુસાફરોની ગોપનીયતા સુનિશ્ચિત કરવા માટે, સીસીટીવી કેમેરા મુખ્યત્વે દરવાજા પાસે, સામાન્ય ટ્રાફિકવાળા વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવશે.
ટ્રેનમાં કેમેરા ક્યાં લગાવવામાં આવશે?
- પેસેન્જર કોચ: દરેક રેલ્વે કોચમાં કુલ ચાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, જેમાંથી બે દરેક પ્રવેશ બિંદુ પર હશે.
- રેલ એન્જિન: દરેક એન્જિનમાં છ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જેમાં એન્જિનની આગળ, પાછળ અને બંને બાજુ એક-એક કેમેરાનો સમાવેશ થશે.
ટ્રેનોમાં સીસીટીવી કેમેરા લગાવવાના ફાયદા
તમને જણાવી દઈએ કે ભારતીય રેલ્વે વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાંનું એક છે. ભારતીય રેલ્વે દરરોજ સરેરાશ ૧૩,૦૦૦ થી વધુ પેસેન્જર ટ્રેનોનું સંચાલન કરે છે, જેમાં મેલ/એક્સપ્રેસ, પેસેન્જર અને ઉપનગરીય ટ્રેનોનો સમાવેશ થાય છે. ભારતીય રેલ્વે દ્વારા દરરોજ લગભગ ૨.૪ કરોડ મુસાફરો મુસાફરી કરે છે.
સીસીટીવી કેમેરા ચોરી, છેડછાડ, પજવણી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવામાં મદદ કરે છે. તબીબી કટોકટી, આગ અથવા કોઈપણ અકસ્માત જેવી કટોકટીની સ્થિતિમાં, સીસીટીવી ફૂટેજ ઘટનાની પરિસ્થિતિને સમજવામાં મદદ કરી શકે છે અને અધિકારીઓને ઝડપથી અને અસરકારક રીતે પ્રતિભાવ આપવામાં મદદ કરી શકે છે.