CBIએ દિલ્હી લિકર પોલીસી મામલે BRS નેતા કે. કવિતાની ધરપકડ

Share this story

CBIએ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં બીઆરએસ નેતા કે.કવિતાની ધરપકડ કરી છે. કવિતા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને તિહાર જેલમાં બંધ છે. કવિતાની સીબીઆઇએ જેલમાં પૂછપરછ કરી હતી. કવિતાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ૧૫ માર્ચે કથિત કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ અગાઉ કોર્ટે વચગાળાની જામીન આપવાનો ઈનકાર કરતા કહ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે, તેમણે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત પુરાવા નષ્ટ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો તેમને રાહત આપવામાં આવે તો તેઓ આગળ પણ આવું કરી શકે છે.

સીબીઆઈએ આજે કવિતાની જેલમાંથી ધરપકડ કરી છે અને ૨૪ કલાકમાં તેમને કોર્ટમાં રજૂ કરી કસ્ટડીની માંગણી કરશે. સીબીઆઈએ ભ્રષ્ટાચાર નિવારણ અને ૧૨૦B કાવતરા હેઠળ એક્સાઈઝ કૌભાંડની એફઆઈઆર નોંધી હતી, ત્યારબાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસમાં ખુલાસો થયો કે કે. કવિતાએ આમ આદમી પાર્ટી (AAP)ને ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ અપાવી હતી.

આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા હાલ તિહાડ જેલમાં બંધ છે. કેજરીવાલ ૧૫ એપ્રિલ સુધી કસ્ટડીમાં છે. કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ૨૧ માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જેલમાં બંધ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા જેલ નંબર વનમાં બંધ છે. આ કેસમાં આપના સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. તે જેલની બહાર છે.