મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના તામ્હિણી ઘાટ વિસ્તારમાં એક SUV 400 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાં છ લોકોના મોત થયા હતા.
એક અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માત મંગળવારે સવારે થયો હતો, પરંતુ પોલીસને ગુરુવારે સવારે જ તેની જાણ થઈ હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને વાહન શોધી કાઢવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકો 18 થી 22 વર્ષની વયના હતા અને સોમવારે મોડી સાંજે થાર SUVમાં પુણેથી નીકળ્યા હતા. રાયગઢ અને પુણે જિલ્લાઓને જોડતો મનોહર પહાડી રસ્તો, તામ્હિણી ઘાટ, એક લોકપ્રિય પિકનિક સ્થળ છે.
ડ્રોનનો ઉપયોગ કરીને SUVની ઓળખ કરાઈ
મંગળવારે સવારે કેટલાક છોકરાઓ સાથે સંપર્ક તૂટી ગયા બાદ તેમના માતાપિતાએ પોલીસનો સંપર્ક કર્યો. અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે તેમના મોબાઇલ ફોનનું લોકેશન તામ્હિણી ઘાટ પર શોધી કાઢ્યું હતું અને માનગાંવ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ ગુરુવારે સવારે શોધખોળ શરૂ કરી હતી.
રાયગઢ પોલીસ અને સ્થાનિક સ્વયંસેવકોની બનેલી બચાવ ટીમે ગુરુવારે બપોરે મૃતદેહો બહાર કાઢ્યા હતા અને તમામ પીડિતોની ઓળખ થઈ ગઈ છે. અધિકારીએ જણાવ્યું હતું કે મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ પછી સંબંધીઓને સોંપવામાં આવશે.