ગુજરાતમાંથી ફરી એક BLO શિક્ષકના મોતના સમાચાર સામે આવતાં ચકચાર મચી ગઈ છે. માહિતી મુજબ, કોડીનારના BLO શિક્ષકે SIR કામગીરીના દબાણથી માનસિક તણાવ અનુભવાતા આપઘાત કરી મોતને વ્હાલુ કર્યું છે. ત્યારે પીડિત પરિવારે પણ BLOની કામગીરીના કારણે શિક્ષક ડિપ્રેશનમાં હોવાનો આક્ષેપ કરી ન્યાયની માંગણી કરી છે.
ગીર સોમનાથના કોડીનારનાં દેવળી ગામે રહેતા યુવા શિક્ષકે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં ગરકાવ થયો છે. શિક્ષકે આત્મહત્યા પહેલા લખાયેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં sirની કામગીરીથી ત્રસ્ત હોવાનો ઉલ્લેખ કર્યો છે. પરિવાર અને શિક્ષણ સંઘે કહ્યું કે, બી.એલ.ઓની કામગીરીને કારણે શિક્ષક ડિપ્રેશનમાં હતા. અને આવા અનેક શિક્ષકો આવી માનસિક યાતનાઓ ભોગવી રહ્યાં છે. પીડિત પરિવારને એક કરોડ આપવાની માંગ ગીર સોમનાથના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ વિનોદભાઈ બારડ દ્વારા કરવામાં આવી છે.
BLO શિક્ષકો પર વધું પડતું દબાણ
આ મુદ્દે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના પ્રચાર અધ્યક્ષ રાકેશકુમાર ઠાકરે જણાવ્યું કે, SIRની કામગીરીના દબાણના કારણે શિક્ષકે આત્મહત્યા કરી. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ છેલ્લા અઠવાડિયાથી સરકારના ધ્યાનમાં આ બાબત લાવી રહી છે. 15 તારીખે તમામ વિધાનસભા મતવિસ્તારમાં આવેદન આપ્યું છે. શિક્ષક સતત દબાણ અનુભવી રહ્યાં છે. ખેડા જિલ્લાના કુટુંબે પણ આક્ષેપ કર્યો છે. આ કામગીરી લઈને શિક્ષક માનસિક સંતુલન અને હતોત્સાહ થઈ ગયો હતો અને આત્મહત્યા તરફ પ્રેરાયો. શિક્ષકના મોતથી એમના કુટુંબને પડેલી ખોટ પૂરી થઈ શકે તેમ નથી. જો કે આ મામલે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી હારીજ શુક્લાએ આ સંદર્ભે કંઈ પણ બોલવાનો ઈન્કાર કર્યો છે. સમગ્ર ઘટનામાં ગીર સોમનાથ એસપી દ્વારા તપાસ ચાલુ હોવાની વાતનું રટણ કર્યું.