લદ્દાખના સિયાચીન ગ્લેશિયરમાં એક મોટું હિમસ્ખલન થયું હતું, જેમાં ભારતીય સેનાના ત્રણ સૈનિકો શહીદ થયા છે. આ વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર છે જ્યાં સૈનિકો -60 ડિગ્રી ઠંડી, ભારે પવન અને બર્ફીલા જોખમોનો સામનો કરે છે. હિમસ્ખલન એક સૈન્ય ચોકી પર અથડાયું હતું, જેના કારણે આ દુ:ખદ ઘટના બની હતી.
સૌથી ઊંચુ યુદ્ધક્ષેત્ર
સિયાચીન ગ્લેશિયર, જે કારાકોરમ પર્વતમાળામાં 20 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. આ સમાચાર દુઃખદ છે, કારણ કે સિયાચીનમાં આવી ઘટનાઓ પહેલા પણ બની છે. સિયાચીનને વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર કહેવામાં આવે છે. અહીંનું તાપમાન -60 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે.
ભારે પવન, હિમવર્ષા અને હિમસ્ખલન અહીં ખૂબ જ સામાન્ય છે. આ હિમસ્ખલન ઉત્તરીય ગ્લેશિયર ક્ષેત્રમાં થયું હતું, જ્યાં 18,000 થી 20,000 ફૂટની ઊંચાઈ છે. આ વિસ્તારમાં સૈનિકોને માત્ર દુશ્મન જ નહીં પરંતુ કુદરતના પ્રકોપ સામે પણ લડવું પડે છે. 1984માં ઓપરેશન મેઘદૂત શરૂ થયા પછી ભારતે સિયાચીન પર નિયંત્રણ જાળવી રાખ્યું છે, પરંતુ હવામાનને કારણે 1,000 થી વધુ સૈનિકો શહીદ થઈ ચુક્યા છે.
બચાવ કામગીરી શરૂ
હિમસ્ખલનની ખબર મળતાની સાથે જ ભારતીય સેના અને વાયુસેનાએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. વિશેષ હિમસ્ખલન બચાવ ટીમો (ART) ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જે બરફમાં દટાયેલા સૈનિકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ટીમ લેહ અને ઉધમપુરથી સંકલન કરી રહી છે. ઘાયલોને બહાર કાઢવા અને તેમને હોસ્પિટલમાં લઈ જવા માટે સેનાના હેલિકોપ્ટર ચિત્તા અને Mi-17 નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સિયાચીનમાં આવી ઈમરજન્સી માટે સેના હંમેશા તૈયાર રહે છે, પરંતુ બરફ અને ઠંડીને કારણે બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ હોય છે.