બિહારના દરભંગામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મજૂરીના મુદ્દે બોલાચાલીમાં 200 બ્રાહ્મણો સામે એટ્રોસિટીનો કેસ ઠોકી દેવાયો છે. કુશેશ્વરસ્થાન પોલીસ સ્ટેશન વિસ્તારના હરિનગર ગામમાં જૂના પૈસાના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે ગામના 70 લોકો સામે નામજોગ FIR નોંધવામાં આવી છે, જેઓ તમામ બ્રાહ્મણ જ્ઞાતિના હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત, 100 થી 150 અજ્ઞાત લોકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં 12 લોકોની ધરપકડ કરી છે અને આગળની તપાસ ચાલુ છે.
શું હતી ઘટના?
હરિનગર ગામમાં જૂના પૈસાની લેવડ-દેવડને લઈને બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ પથ્થરમારો અને મારામારી થઈ હતી. આ અથડામણમાં મહિલાઓ અને એક બાળકી સહિત કુલ 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવારને દરભંગા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
જાતીય રંગ અપાયાની ચર્ચા
આ સમગ્ર હિંસાનો એક લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જેના કારણે વિસ્તારમાં ભારે તણાવનો માહોલ છે. આ વિવાદ 30 જાન્યુઆરીથી શરૂ થયો હતો જે હવે ગંભીર બની ગયો છે. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે આ ઘટનાને જાતીય રંગ આપવામાં આવી રહ્યો હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાલમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
વિવાદનું મૂળ પૈસાની લેવડ દેવડ છે. ગામના એક યુવકે મકાનનું બાંધકામ કર્યું હતું. જેના આશરે 2.47 લાખ બાકી હતી. આ અંગે તેણે યુવકના માતા-બહેનને રસ્તામાં રોકીને પૈસાની માંગ કરી હતી. જે બાદ મામલો બિચક્યો હતો. પંચાયત સ્તરે પણ મામલો ઉકેલવાની કોશિશ થઈ હતી પરંતુ વિવાદ વધી ગયો હતો અને બંને પક્ષોમાં બબાલ થઈ હતી.
પોલીસે જણાવ્યું કે, પ્રારંભિક તપાસમાં પૈસાની લેવડ દવેડ લાગી રહી છે. જેને જાતિયા રંગ આપવાની કોશિશ થઈ રહી છે. હાલ આવો કોઈ પુરાવો મળ્યો નથી. અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એફઆઈઆર નોંધીને આરોપીઓને શોધવામાં આવી રહ્યા છે. આ બનાવના પગલે ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવાઈ છે. પોલીસ મુજબ કોઈને પણ છોડવામાં નહીં આવે અને કડક કામગીરી કરવામાં આવશે.