જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. સુરક્ષા દળોએ 24 કલાકમાં અથડામણમાં 6 ખૂંખાર આતંકવાદીઓ માર્યા છે. આજે ભારતીય સેના, CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં જાણકારી આપવામાં આવી છે કે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 48 કલાકમાં બે મોટા ઓપરેશન હેઠળ છ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.
ભારતીય સેનાએ જણાવ્યું છે કે કાશ્મીરના ત્રાલ અને શોપિયાંમાં બે ઓપરેશન ચલાવવામાં આવ્યા. એક ઓપરેશન ગ્રામીણ વિસ્તારમાં હતું જ્યારે બીજું પહાડી વિસ્તારમાં. કુલ છ આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. સેનાએ જણાવ્યું છે કે આ જ રીતે કાશ્મીરમાંથી આતંકવાદીઓનો સફાયો કરવામાં આવશે. સુરક્ષાદળો વચ્ચે સામંજસ્ય ખૂબ સારું રહ્યું જેના કારણે ઓપરેશન સફળ રહ્યું. લોકોનો પણ સારો સહયોગ મળ્યો તેથી તેમનો પણ આભાર.
ભારતીય સેનાએ અગાઉ પાકિસ્તાન તથા પીઓકે સ્થિત આતંકવાદીઓના અડ્ડા નષ્ટ કરવા માટે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું અને 100થી વધુ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આટલું જે નહીં ઓપરેશન બાદ પાકિસ્તાન દ્વારા કરાયેલા હુમલાથી પણ સેનાએ દેશને બચાવ્યો અને તમામ સૈન્ય ઠેકાણા સુરક્ષિત રહ્યા.