ગીર સોમનાથ જિલ્લાની (SOG) ટીમે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે એક મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કોમ્બિંગ દરમિયાન, ટીમે ચોક્કસ બાતમીના આધારે પ્રભાસ પાટણ નજીક આવેલી ઐતિહાસિક હઝરત કચ્છી પીર બાબાની દરગાહ પર તપાસ શરૂ કરી હતી. SOGની ટીમે દરગાહના વિવિધ ખૂણાઓ અને રૂમોની ઝીણવટભરી તપાસ કરી હતી, જેમાં તેમને આ ધાર્મિક સ્થળમાંથી ગેરકાયદેસર હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. સુરક્ષાના દ્રષ્ટિકોણથી આ ઘટના અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે, કારણ કે ધાર્મિક સ્થાનો પર આ પ્રકારના હથિયારો રાખવા એ કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.
SOG દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસમાં દરગાહના એક ગુપ્ત ભાગમાંથી કુહાડી અને તલવાર સહિતના દેશી હથિયારો મળી આવ્યા હતા, જેને પોલીસે તાત્કાલિક અસરથી જપ્ત કરી લીધા હતા. આ હથિયારો કયા હેતુથી રાખવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો, તે જાણવા માટે SOG ટીમે તુરંત જ દરગાહના વહીવટકર્તા, એટલે કે મુંજાવરની અટકાયત કરી અને તેમની સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે.
જિલ્લાના 110 કિલોમીટર લાંબા દરિયાકાંઠે લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. કોમ્બિંગ દરમિયાન એસઓજીની ટીમને હઝરત કચ્છી પીર બાબાની દરગાહમાંથી કુહાડી, કાટો અને તલવાર જેવા હથિયારો મળી આવ્યા હોવાનું સૂત્રો દ્વારા બહાર આવ્યું હતું. આ હથિયારો મળતા દરગાહના મુંજાવરની પૂછપરછ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.