અમરેલી જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. રાત્રિના સમયે જ્યારે લોકો નિદ્રાધીન થવાની તૈયારીમાં હતા ત્યારે અંદાજે 10:05 કલાકે ધરતીમાં ધ્રુજારી અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 2.5 માપવામાં આવી છે. જોકે તીવ્રતા ઓછી હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી, પરંતુ શાંત રાત્રિમાં ધ્રુજારીના અનુભવથી લોકો સાવચેતીના ભાગરૂપે ઘરોની બહાર દોડી આવ્યા હતા.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગના જણાવ્યા મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલી શહેરથી આશરે 42 કિલોમીટર દૂર નોંધાયું છે. અમરેલી જિલ્લાનો સાવરકુંડલા, ખાંભા અને ગીર પંથક ભૂકંપના આંચકાઓ માટે સંવેદનશીલ ગણાય છે, ત્યારે આ કેન્દ્રબિંદુ પણ તે જ દિશામાં હોવાનું અનુમાન છે. ભૂકંપના આ હળવા આંચકાને કારણે જમીનમાંથી ગડગડાટ જેવો અવાજ પણ સંભળાયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.