Monday, Mar 23, 2026

બારામતી પ્લેન દુર્ઘટનાના શોક વચ્ચે પંકજા મુંડેના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી, ફ્લાઈટ રોકાઈ

2 Min Read

ગત બુધવારે બારામતીમાં થયેલા પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અજિત પવારનું મૃત્યુ નીપજ્યું હતું, જેને કારણે મહારષ્ટ્ર અને દેશભરના રાજકારણમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ દુર્ઘટના બાદ રાજકારણીઓ હવાઈ મુસાફરી અંગે સતર્કતા દાખવી રહ્યા છે. આજે ભાજપ નેતા અને કેબિનેટ પ્રધાન પંકજા મુંડેના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે ફ્લાઈટ મુલતવી રાખવામાં આવી હતી.

અહેવાલ મુજબ પંકજા મુંડે હેલિકોપ્ટર મારફતે મહારાષ્ટ્રના સંભાજીનગરથી લાતુર જવાના હતાં, જ્યાં તેઓ આગામી જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર કરવાના હતાં. ટેક ઓફના થોડા સમય પહેલા પાયલોટે હેલિકોપ્ટરમાં ટેકનિકલ સમસ્યા હોવાની જાણ કરી હતી, પંકજા મુંડેએ સલામતી ખાતર મુસાફરી મુલતવી રાખી હતી.

ભારતના પહેલા CDF હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા:
નોંધનીય છે કે વર્ષ 2021માં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું મૃત્યુ થયું હતું. તમિલનાડુના કુન્નુરમાં વાયુસેનાનું Mi-17V5 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

ગત વર્ષે જુન મહિનામાં અમદવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું મૃત્યુ થયું હતું.

બારામતી વિમાન દુર્ઘટના:
નોંધનીય છે કે અજીત પવાર પ્રાઈવેટ વિમાન લિયરજેટ 45 XRમાં મુસાફરી કરી રહ્યા હતાં. મુંબઈથી ટેક ઓફ કર્યા બાદ વિમાને બારામતીની એરસ્ટ્રીપ પર લેન્ડિંગ કરવાનો એક નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, ત્યાર બાદ લેન્ડિંગના બીજા પ્રયાસ વિમાન ક્રેશ થયું હતું.

આ દુર્ઘટનામાં અજિત પવાર, પાયલોટ સુમિત કપૂર, કો-પાયલોટ શામ્ભવી પાઠક, પવારના અંગત સુરક્ષા અધિકારી વિદીપ જાધવ અને ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલીનું મૃત્યુ થયું હતું.

Share This Article