સુરત શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે અચાનક રન વે નજીક આવેલા ઘાસમાં આગ ફાટી નીકળી હતી. રન વે નજીક આગ લાગતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર નિયંત્રણ મેળવી લીધું હતું.
આગ લાગી તે સમયે રન વે પર એક ફલાઈટ હતી અને ટેક ઓફ થાય તે પહેલા જ ઘટના બની હતી. આગના કારણે ફ્લાઈટ અને હેલિકોપ્ટર સર્વિસને અસર થઈ હતી. 3 ફ્લાઇટ અને હેલિકોપ્ટરને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત દિલ્હી ફ્લાઈટ એરપોર્ટના રનવે પર હતી અને આગની ઘટના બનતા તે ટેક ઓફ કરી શકી ન હતી. ત્યારબાદ એક હેલિકોપ્ટર લેન્ડિંગ માટે આવ્યું હતું જોકે તેને હજીરા હેલીપેડ ખાતે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વેન્ચુરાની ફ્લાઈટ પણ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. રનવે નજીક આગ લાગી હોવાથી ફ્લાઇટ ટેક ઓફ કે લેન્ડ થઈ શકે નહીં. જેના પગલે ત્યારબાદ આવતી 3 ફ્લાઈટને પણ અસર પહોંચી હતી.
એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ, દોઢ વાગ્યા આસપાસ ઓપરેશનલ એરિયામાં ઘાસવાળા વિસ્તારમાં આગ લાગી હતી. આગ બર્ડ હિટથી બચવા માટે વપરાતી ગેસ ગનમાંથી નીકળેલા સ્પાર્કના કારણે લાગી હતી. રનવે સુધી આગ ન ફેલાય તે માટે તત્કાલ પગલાં લઈ રનવે પોણા ત્રણ વાગ્યા સુધી બંધ રાખવો પડ્યો હતો.