ઓડિશાના ચાંદીપુરમાં ગુરુવારે રાત્રિના અંધારામાં ભારતે અગ્નિ-4 દ્વારા વ્યૂહાત્મક શક્તિ પ્રદર્શન કર્યું છે . ભારતે મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ (MRBM) અગ્નિ-4નું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રાલય અનુસાર, આ પરીક્ષણ દરમિયાન મિસાઇલના તમામ ઓપરેશનલ અને ટેક્નિકલ માપદંડો સફળતાપૂર્વક ચકાસવામાં આવ્યા હતા. પરીક્ષણ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC)ના નેતૃત્વ હેઠળ થયું હતું.
અગ્નિ-4 એક સ્વદેશી રીતે વિકસિત, બે તબક્કાની અને સોલિડ-ફ્યુઅલ આધારિત સરફેસ-ટુ-સરફેસ બેલિસ્ટિક મિસાઇલ છે. તેની મારક ક્ષમતા લગભગ 4,000 કિલોમીટર સુધી હોવાનું જણાવાય છે. મિસાઇલને મોબાઇલ લોન્ચર પરથી પણ તહેનાત કરી શકાય છે, જેના કારણે તેની ઓપરેશનલ લવચીકતા વધે છે.
આ પરીક્ષણ ભારતની વ્યૂહાત્મક પ્રતિરોધક ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે. અગ્નિ શ્રેણીની વિવિધ મિસાઇલો ભારતની અલગ-અલગ અંતરની વ્યૂહાત્મક જરૂરિયાતો પૂરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. 2026 દરમિયાન અગ્નિ-3 અને અન્ય અગ્નિ શ્રેણીની મિસાઇલોનું પણ સફળ પરીક્ષણ થઈ ચૂક્યું છે.