સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી એક પ્રિન્ટિંગ મિલમાં સુરક્ષાના સાધનોના અભાવે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. પાંડેસરા જીઆઈડીસીની ‘પારસ પ્રિન્ટ પ્રાઈવેટ લિમિટેડ’માં ઇટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર કામદારો ઝેરી ગેસની ગૂંગળામણને કારણે બેભાન થઈ ગયા હતા. જેમાંથી ત્રણ શ્રમિકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક કામદારની હાલત હજુ પણ ગંભીર જણાવાઈ રહી છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં મોટી દુર્ઘટના
આ ઘટના 5 માર્ચના રોજ સાંજની છે. મિલના ઇટીપી પ્લાન્ટની સફાઈ માટે ચાર શ્રમિકોને કોઈ પણ પ્રકારના સેફ્ટી ગિયર કે સુરક્ષાના સાધનો આપ્યા વિના ટાંકીમાં ઉતારવામાં આવ્યા હતા. ટાંકીમાં જમા થયેલા કેમિકલયુક્ત પાણી અને કાદવના કારણે પેદા થયેલા ઝેરી ગેસને લીધે ચારેય શ્રમિકો ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા અને થોડી જ વારમાં બેભાન થઈ ગયા હતા.
ઘટના બાદ તાત્કાલિક ધોરણે ચારેય કામદારોને ડિંડોલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ સોનુ પાસવાનને મૃત જાહેર કર્યો હતો. અન્ય ત્રણ કામદારો – દીપુકુમાર પાસવાન, સંદીપ પાસવાન અને મલંદર પાસવાનને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર દરમિયાન દીપુકુમાર અને સંદીપ પાસવાનનું પણ મૃત્યુ નીપજ્યું હતું. આમ, આ ઘટનામાં કુલ ત્રણ જીવ ગયા છે. મલંદર પાસવાન હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ
આ ગંભીર બેદરકારી બાદ સચિન જીઆઈડીસી પોલીસએ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા GPCB દ્વારા સ્થળ પર જઈને નમૂના લેવામાં આવ્યા છે. તેમજ FSLની ટીમ દ્વારા પણ વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.