સુરત મહાનગરપાલિકા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. વોર્ડ નં. 12માં ટિકિટ ફાળવણી બાદ નારાજ ઉમેદવાર ડો. પ્રીતિ સદાદિયાએ અચાનક રાજીનામું આપી દીધું હતું. તેમણે આ બાબતની પુષ્ટિ મીડિયા સાથેની વાતચીતમાં પણ કરી હતી. પાર્ટી દ્વારા અત્યાર સુધી જાહેર કરાયેલા 98 ઉમેદવારોમાં કેટલાક વિવાદાસ્પદ નામોને કારણે કાર્યકર્તાઓમાં અંદરખાને ભારે અસંતોષ ફેલાયો છે.
ડો. પ્રીતિ સદાદિયા, જે વ્યવસાયે હોમિયોપેથીક ડોક્ટર છે, તેમની સામાજિક પકડને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તેમને તરત જ ટિકિટ આપી દીધી છે. અગાઉ AAPએ તેમને વોર્ડ નંબર 12માંથી ઉમેદવાર જાહેર કર્યા હતા, પરંતુ આંતરિક મતભેદોને કારણે તેમણે પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો. કોંગ્રેસે પણ તેમના પર વિશ્વાસ મૂકીને સત્તાવાર રીતે ઉમેદવારી જાહેર કરી છે.
ડો. પ્રીતિ સાથે સાથે લગભગ 500 જેટલા સક્રિય કાર્યકરોએ પણ AAP છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે. આ ઘટનાએ પાર્ટીમાં આંતરિક અસંતોષને વધુ તેજ કર્યો છે. આ દરમિયાન AAPએ બીજી યાદી જાહેર કરી હતી, જેમાં પણ વિવાદિત ઉમેદવારોને ટિકિટ આપતા કાર્યકર્તાઓમાં વધુ નિરાશા ફેલાઈ હતી. કેટલાક નામો સામે વિરોધ થતાં પાર્ટીને છેલ્લી ઘડીએ બે ઉમેદવારોના નામ બદલવા પડ્યા હતા.

ડો. પ્રીતિએ જણાવ્યું કે તેઓ છેલ્લા છ-સાત વર્ષથી AAP સાથે જોડાયેલા હતા અને લોકોની સેવા માટે કામ કરતા હતા. પરંતુ પાર્ટી હવે સમાનતા અને મૂલ્યો પરથી ભટકી ગઈ છે. તેમણે કહ્યું કે તેઓ રાહુલ ગાંધીના વિચારોમાંથી પ્રેરિત થઈ કોંગ્રેસમાં જોડાયા છે, જ્યાં માનવ સેવા અને સમાનતાને પ્રાથમિકતા આપવામાં આવે છે.
તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ગંભીર આક્ષેપો કર્યા હતા કે પાર્ટીના કેટલાક હોદ્દેદારો માત્ર ફંડ એકત્રિત કરવામાં જ વ્યસ્ત છે અને નિર્ણયોમાં પારદર્શિતા નથી. આ કારણોસર તેમણે તમામ હોદ્દાઓ અને ઉમેદવારીનો ત્યાગ કર્યો હોવાનું જણાવ્યું.
આ સાથે જ વોર્ડ નં. 26ના પૂર્વ ઉમેદવાર ડો. નીતા બલદાણિયાએ પણ રાજીનામું આપતા જણાવ્યું કે પાર્ટીની હાલની કાર્યપદ્ધતિ તેમના મૂલ્યો સાથે મેળ ખાતી નથી. તેમણે સંકલન અને પારદર્શિતાના અભાવની વાત કરી હતી.
વોર્ડ નં. 2ના સહ-કન્વીનર અશોક બલરે પણ રાજીનામું આપતા ટિકિટ ફાળવણી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે પક્ષ એવા લોકોને ટિકિટ આપી રહ્યો છે, જે અગાઉ પાર્ટી છોડીને ગયા હતા અથવા જેમનું વર્તન યોગ્ય નથી. તેમણે આવા રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.
AAP દ્વારા જાહેર કરાયેલી ઉમેદવારોની યાદીમાં વિવાદ વધતા પાર્ટીને છેલ્લી ઘડીએ ફેરફાર કરવા પડ્યા હતા. વોર્ડ નંબર-4માં સેજલ માલવિયાની જગ્યાએ કુંદન કોઠિયા અને વોર્ડ નંબર-13માં જતીન જરીવાલાની જગ્યાએ સુશાંત કાપડિયાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમે સુરતના રાજકારણમાં ભારે ગરમાવો લાવ્યો છે.