સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કારમાં સવાર ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે એક પુરુષને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ચારેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર આવેલા ઝેઝરી ગામ નજીક ડમ્પર અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ચાર મહિલાનાં મોત થયાં છે. સ્થાનિકોએ જાણ કરતાં બજાણા પોલીસ અને 108નો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.
ચારેય મહિલાના ઘટનાસ્થળે મોત
આ અકસ્માતની ઘટનામાં અલટ્રોજ કાર માલવણથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી, જ્યારે સામે સુરેન્દ્રનગરથી માલવણ તરફ માંતેલા સાંઢની માફક પૂરઝડપે આવતા ડમ્પર સાથે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર ચાર મહિલાનાં સારવાર મળે એ પહેલાં જ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. આ ગોઝારા અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઈ ગયાં હતાં.
મંદિરે દર્શન કરવા જતી વેળાએ અકસ્માત થયો
આ તમામ લોકો પાટડી તાલુકાના ધામા સ્થિત શક્તિ માતા મંદિરથી દર્શન કરી વણા શક્તિ માતાના મંદિરે દર્શન કરવા જતા સમયે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એમાં અકસ્માતનો ભોગ બનનારી ચાર મહિલામાં બે મહિલા મૂળ ડેરવાળાનાં વતની અને હાલ અમદાવાદ રહેતાં હોવાનું સામે આવ્યુ છે, જ્યારે અન્ય બે મૃતક મહિલા અમદાવાદના તેમના પાડોશી હોવાનું હાલ સામે આવ્યું છે.