આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે. સુરત શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાતા અનેક હોટલ, રેસ્ટોરાં અને સામાજિક કાર્યક્રમો પર અસર પડી છે. આવી જ સ્થિતિ સુરતના ગોડાદરા વિસ્તારમાં આયોજિત એક સમૂહ લગ્ન પ્રસંગ દરમિયાન જોવા મળી.
સુરતના ગોડાદરા વિસ્તારમાં ઉતર ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં 51 યુગલો લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે. જ્યાં સમૂહ લગ્નમાં અંદાજિત 15 હજાર મહેમાનોનું જમવાનું બનાવવાનું હતું. પરંતુ કેટરર્સે ગેસની બોટલની અછત હોવાની વાત કરી હતી. જેથી રસોઈ કેવી રીતે બનશે, તે અંગે આયોજકો ચિંતામાં મૂકાયા હતા. જે દરમિયાન આયોજકોએ સમાજની મિટિંગ પણ બોલાવી હતી.
સમાજની મિટિંગમાં જૂની પદ્ધતિથી રસોઈ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આયોજકોએ આ આપદાને અવસરમાં બદલી હતી. આયોજકોએ અંદાજિત 15 હજાર મહેમાનોની રસોઈ કરવા માટે JCBની મદદથી 5 ખાડા કર્યા હતા. અંદાજિત 2 હજાર કિલો લાકડા મંગાવવામાં આવ્યા હતા. તેમ જૂની પદ્ધતિથી રસોઈ તૈયાર કરવામાં આવી હતી. આ ઘટનાએ સાબિત કર્યું છે કે, સંસાધનોની અછત હોય, ત્યારે પરંપરાગત પદ્ધતિ અપનાવીને પણ મોટા આયોજનો સફળ બનાવી શકાય છે.
ઉતર ભારતીય સમૂહ વિવાહ સમિતિના આયોજક અમિતસિંગ રાજપૂતએ જણાવ્યું હતું કે હાલ, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એવી પરિસ્થિતિમાં કોમર્શિયલ ગેસના બાટલાની અછત છે. આ સમાચાર દસ દિવસ પહેલા કેટરિંગવાળાએ આપ્યા હતા. કેટરિંગવાળા પાસે ગેસ સિલિન્ડર નથી. તમે બાટલા લાવશો તો જમવાનું બનાવી શકાશે નહી. જે બાદ અમે સમાજની મિટિંગ બોલાવી હતી. તેમજ સાંસદનો સંપર્ક પણ કર્યો હતો.
અમિતસિંગ રાજપૂતએ આગળ જણાવ્યું કે, અમે રાતના સમયે જેસીબી બોલાવીને ખાડો કરીને રાતથી જ જમવાની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. વધુમાં આયોજકે કહ્યું કે, સમાજમાં બદનામી થશે, કઈ રીતે આયોજન પૂરુ પાડીશું, તેવો ભય હતો. પરંતુ હવે અમારો પ્રસંગ પૂર્ણતાની આરે છે. જ્યારે કોઈનો આવો પ્રસંગ આવે તેમણે આવું કરવું જોઈએ