નવસારીમાં એક પોલીસકર્મી પર હુમલાની ઘટનાએ ચકચાર જગાવી છે. આશરે 15 દિવસ પહેલાં રસ્તા પર ચાલી રહેલી મારામારીમાં વચ્ચે પડી એક યુવકને બચાવનાર જવાનને જ અદાવતનો ભોગ બનવું પડ્યું હોવાનો આક્ષેપ છે. સુરત સિટી પોલીસમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા વિશાલ ખાન પઠાણને રસ્તામાં અટકાવી તલવાર અને ડંડાથી હુમલો કરવામાં આવ્યો હતો. માથામાં ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, 31 ઓગસ્ટના રોજ કારમાં સવાર 6થી 7 શખ્સો એક યુવકને રસ્તા પર માર મારી રહ્યા હતા. એ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા વિશાલે દરમિયાનગીરી કરીને યુવકને હુમલાખોરોથી છોડાવ્યો હતો. આ ઘટનાને લઈને આરોપીઓમાં મનદુઃખ ઊભું થયું હતું અને ત્યારબાદ પોલીસકર્મીને ધમકાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.
આ દરમિયાન અનમોલ શર્મા નામના શખ્સે વિશાલને માર મારવાની ધમકી આપી હતી. આ અંગે પૂછપરછ કરવા જતા વાત વધુ ઉગ્ર બની હતી. બાદમાં ગાળાગાળી કરીને પોલીસકર્મીને ઇટાળવા ચોકડી પાસે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં બંને તરફથી ધક્કામુક્કી થતાં આસપાસના લોકોએ વચ્ચે પડી મામલો અટકાવ્યો હતો.
પરંતુ વિવાદ અહીં અટક્યો નહોતો. પોલીસકર્મી વિશાલ પોતાના મિત્રો સાથે ફરિયાદ માટે પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યારે કાળા રંગની સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ તેમનો પીછો કર્યો અને રસ્તા વચ્ચે કાર આડી મૂકી તેમનો માર્ગ રોક્યા બાદ અનમોલે તલવાર કાઢી હતી, જ્યારે વિજય ભરવાડે ડંડાથી હુમલો કર્યો હોવાની ફરિયાદમાં જણાવાયું છે.
હુમલા દરમિયાન વિશાલ નીચે પડી ગયો હતો. તે સમયે વિજય ભરવાડે તેના માથા પર ડંડો મારતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો અને લોહીલુહાણ થઈ ગયો હતો. સ્થિતિ જોઈ તેના મિત્રો તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.
હાલ ઇજાગ્રસ્ત પોલીસકર્મીનું નિવેદન લેવામાં આવી રહ્યું છે અને સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હુમલાની ઘટના પાછળની અદાવત અને સંડોવાયેલા શખ્સોની ભૂમિકા અંગે વધુ વિગતો પોલીસ કાર્યવાહી બાદ સામે આવશે.


