ઇન્ડોનેશિયામાં અનાક ક્રાકાતોઆ જ્વાળામુખી ફરી એકવાર ફાટતા ભયનો માહોલ સર્જાયો છે. જ્વાળામુખીમાંથી નીકળેલી રાખ અને કાળા ધુમાડાના ગોટેગોટા અનેક કિલોમીટર સુધી આકાશમાં ફેલાયા છે. રાખનો ગોટો રાજધાની જકાર્તા તરફ આગળ વધતાં તંત્ર એલર્ટ પર છે.
4 મોટા એરપોર્ટ પર ફ્લાઇટ્સ બંધ
જ્વાળામુખીની રાખને કારણે જકાર્તાના સુકર્ણો-હટ્ટા અને હલીમ પેરદાનાકુસુમા, લામ્પુંગના રાડિન ઇન્ટેન-II અને બાંડુંગના હુસૈન સાસ્ત્રાનેગારા સહિત 4 એરપોર્ટ પર ફ્લાઇટ્સનું સંચાલન રોકવામાં આવ્યું છે. હવામાં રાખનું જોખમ દૂર ન થાય ત્યાં સુધી વિમાનોને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.
1,500થી વધુ ફ્લાઇટ્સ અસરગ્રસ્ત
જ્વાળામુખી વિસ્ફોટ બાદ 1,500થી વધુ ફ્લાઇટ્સ રદ અથવા પ્રભાવિત થઈ હોવાનું જણાવાયું છે. આશરે 1.7 લાખ મુસાફરો અલગ-અલગ એરપોર્ટ પર અટવાયા છે. એરપોર્ટ પર મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે.
જકાર્તા તરફ વધી રહ્યો છે રાખનો ગોટો
સેટેલાઇટ તસવીરોમાં જ્વાળામુખીની રાખના બે મોટા ગોટા જકાર્તા તરફ આગળ વધતા દેખાયા છે. જ્વાળામુખીની રાખ સ્વાસ્થ્ય માટે જોખમી હોવા ઉપરાંત વિમાનના એન્જિન માટે પણ ગંભીર ખતરો બની શકે છે.
અનાક ક્રાકાતોઆનો ખતરનાક ઈતિહાસ
અનાક ક્રાકાતોઆ જાવા અને સુમાત્રા વચ્ચેના સુન્ડા સ્ટ્રેટમાં આવેલો સક્રિય જ્વાળામુખી છે. વર્ષ 2018માં તેના વિસ્ફોટ બાદ જ્વાળામુખીનો એક ભાગ સમુદ્રમાં ધસી પડ્યો હતો, જેના કારણે વિનાશક સુનામી આવી હતી. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકોના મોત થયા હતા.
‘રિંગ ઓફ ફાયર’ને કારણે વારંવાર વિસ્ફોટ
ઇન્ડોનેશિયા પ્રશાંત મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’ વિસ્તારમાં આવેલું છે. અહીં ટેક્ટોનિક પ્લેટ્સની હિલચાલને કારણે ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટની ઘટનાઓ સામાન્ય છે. ઇન્ડોનેશિયામાં 120થી વધુ સક્રિય જ્વાળામુખી હોવાનું માનવામાં આવે છે.
હાલ તંત્ર હાઈ એલર્ટ પર છે અને લોકોને જ્વાળામુખીના ક્રેટરથી દૂર રહેવા તથા રાખવાળા વિસ્તારમાં બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.





