નેપાળની ભયાનક પૂર અને ભેખડની આફત વચ્ચે આજે એવી ખબર સામે આવી છે, જેણે બચાવ ટીમથી લઈને સુરંગમાં ફસાયેલા પરિવારો સુધી આશાની નવી કિરણ જગાવી છે. ત્રિશુલી-3A હાઇડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગમાંથી નવ દિવસ પછી બે મજૂરોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. સુરંગમાંથી માનવીય અવાજો સંભળાયા બાદ રેસ્ક્યુ ઓપરેશન વધુ ઝડપથી હાથ ધરાયું અને નેપાળ સેના તથા સશસ્ત્ર પોલીસ દળની ટીમે બંનેને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
બચાવાયેલા મજૂરોની ઓળખ 30 વર્ષીય મિકેનિકલ ફોરમેન સંજય સાહ અને 45 વર્ષીય મિકેનિકલ સુપરવાઇઝર કબીર મહર્જન તરીકે થઈ છે. બંનેને સુરંગના પાવરહાઉસ તરફ જતા માર્ગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેને સારવાર માટે કાઠમંડુ ખસેડવામાં આવ્યા છે. અહેવાલ મુજબ કબીર પોતાના હાથ-પગ હલાવી શકતા નહોતા, જ્યારે સંજયને ગંભીર ઇજા નહોતી.
નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે સુરંગના પાવરહાઉસ વિસ્તારમાં અંદાજે 42 એન્જિનિયર અને કર્મચારીઓ ફસાયા હોવાની માહિતી છે. બે મજૂરો મળી આવ્યા બાદ અંદર હજુ આશરે 40 લોકો હોવાની આશા છે, જોકે ચોક્કસ સંખ્યા હજુ સ્પષ્ટ નથી. બચાવ અભિયાન સતત ચાલુ છે અને સુરંગમાંથી વધુ જીવિત લોકોને શોધવા પ્રયાસ થઈ રહ્યો છે.
આ વચ્ચે નેપાળમાં પૂરથી થયેલી તબાહીનો વ્યાપ પણ સતત સ્પષ્ટ થઈ રહ્યો છે. આજના તાજા પોલીસ આંકડા મુજબ 1,290 મૃતદેહો મળી આવ્યા છે અને 4,798 લોકો હજુ ગુમ છે. મૃતદેહોની ઓળખ માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ચિતવન જિલ્લામાં સૌથી વધુ મૃતદેહો મળ્યા છે અને અગાઉના સત્તાવાર અપડેટ મુજબ 95 મૃતદેહોની ઓળખ થઈ ચૂકી હતી.





