ઈમાનદારી માટે મોટું પદ કે પૈસા નહીં, પરંતુ મોટું દિલ જરૂરી હોય છે. મહારાષ્ટ્રમાં એક બસ કંડક્ટરે આવું જ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લગભગ બે વર્ષ પહેલાં બસમાં રહી ગયેલા ₹24 હજાર તેમણે પોતાના સ્વાર્થ માટે ઉપયોગમાં લીધા નહીં, પરંતુ સાચા માલિક સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસ કરતો રહ્યો.
એપ્રિલ 2024માં 75 વર્ષીય કસાબાઈ ગાયકવાડ પોતાના બીમાર પતિ સાથે બસમાં મુસાફરી કરી રહ્યા હતા. માલેગાંવ સુધીની મુસાફરી દરમિયાન તેમનું બેગ બસમાં જ રહી ગયું હતું. બેગમાં ₹24 હજાર રોકડ ઉપરાંત ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન પણ હતું.
બસના કંડક્ટર રાજુ વાણીને સફાઈ દરમિયાન આ બેગ મળી આવ્યું. તેણે પ્રિસ્ક્રિપ્શનમાં આપેલા સંપર્ક નંબર પર ફોન કરવાનો પ્રયાસ કર્યો અને અધિકારીઓને પણ જાણ કરી, પરંતુ કસાબાઈ સુધી પહોંચી શક્યા નહોતા.
લગભગ બે વર્ષ બાદ કસાબાઈ ફરી એ જ બસમાં મુસાફરી કરી રહી હતી. મફત મુસાફરી માટે ઉંમરની ચકાસણી કરવા રાજુએ તેમનું આધારકાર્ડ જોયું અને તરત ઓળખી લીધા હતા. ત્યારબાદ તેમને ડેપો લઈ જઈ સમગ્ર મામલો અધિકારીઓ સમક્ષ રજૂ કર્યો અને ₹24 હજાર પરત કર્યા. ખુશ થયેલા કસાબાઈએ રાજુને ₹1,100 આપીને તેમનો આભાર માન્યો હતો.